- અરજદારના દાવાનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી કાયમી મનાઇહુકમ ફરમાવ્યો
- ચૂંટણી માટેનો થનગનાટ આપોઆપ થંભી ગયો
દાહોદ સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી તા. ૧૪ ફેબ્રુઆરીએ યોજાનાર હતી. આ ચૂંટણીમાં ભાગ લેવા મામલે રાજપુર ખરેડી સેવા સહકારી મંડળીના એક સભાસદે બોર્ડ ઓફ નોમિનીઝમાં રિટ કરી હતી. આ રિટના સંદર્ભે બોર્ડ ઓફ નોમિનીઝે આ દાવાનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી મનાઇ હુકમ ફરમાવી દેતાં સંઘની ચૂંટણી હાલ પૂરતી લટકી પડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિના સાત સભ્યોની વરણી માટે તા.૧૪ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર હતી. આ ચૂંટણી માટે ઉમેદવારી કરવા, દરખાસ્ત કરવા, ટેકો કરવા તથા જરૂર પડે મતદાન કરવા પ્રતિનિધિ તરીકે મોકલવા સંબંધિત સહકારી મંડળીઓએ પહેલેથી જ ઠરાવો મોકલી આપ્યા હતા.
આ યાદી સામે ધી રાજપુર ખરેડી સેવા સહકારી મંડળી લિમિટેડના સભ્ય મકનસિંહ નાથાભાઇ પરમારે બોર્ડ ઓફ નોમિનીઝમાં વાંધો રજુ કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તા.૮ જુલાઇ ૨૦૧૧ના રોજ મંડળીની બેઠક મળી હતી.
જેમાં સંઘની ચૂંટણીમાં ભાગ લેવા તેઓનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર બાદ મંડળીના સેક્રેટરીએ કોઇકની ચઢાવણીથી બહુમતી કમિટી સભ્યોની જાણ બહાર તથા સંમતિ વગર ખરેખર જે મીટિંગ મળેલી ન હોવા છતાં તા.૧૨ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ કહેવાતી ખોટી બોગસ મીટિંગ બતાવી ઠરાવ નંબર ર થી અન્ય સભ્યના નામનો ઠરાવ કરી દીધો હતો.
આ વાંધો રજૂ કરતાં બોર્ડ ઓફ નોમિનીઝે સૌ પ્રથમ અરજીના પેરા ૮(અ) મુજબનો કામ ચલાઉ મનાઇ હુકમ આપ્યો હતો. ત્યાર બાદ આ મનાઇ હુકમ એક દિવસ લંબાવતાં તારીખ ૯ ફેબ્રુઆરીના રોજ ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આ દિવસે બોર્ડ ઓફ નોમીનીઝે અરજદારના દાવાનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી કામ ચલાઉ મનાઇ હુકમ કાયમનો રાખવા ખુલ્લી કોર્ટમાં જાહેર કર્યો હતો.
આમ આગામી તારીખ ૧૪ ફેબ્રુઆરીના રોજ યોજાનારી દાહોદ સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હાલ પૂરતી કરી શકાશે નહીં. તેમજ ક્યારે કરી શકાશે તે કહેવું પણ હાલમાં અશક્ય થઇ પડ્યું હોવાથી ચૂંટણી માટે થનગની રહેલા તમામના પગ થંભી ગયા છે.