યુવક તથા તેનાં માતા-પિતા વિરુદ્ધ ગુનો
કેફી પદાર્થ પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો
આંબાવાડી વિસ્તારમાં રહેતી એક એરહોસ્ટેસે બોપલના અવંતી બંગલોઝમાં રહેતા યુવક સાથે સગાઇ બાદ બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી છે. યુવતીએ યુવક પર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે અંગત પળો માણ્યા બાદ તેના ફોટા પાડી લીધા હતા અને બાદમાં તેને બ્લેકમેલ પણ કરતો હતો. એટલું જ નહીં આ બ્લેકમેઇલ કરવાના કૃત્યમાં યુવકનાં માતા-પિતાએ પણ તેનો સાથ આપ્યો હતો.
યુવતીના આરોપના પગલે સેટેલાઇટ પોલીસે યુવક તથા તેનાં માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી સરખેજ પોલીસ મથકને ફરિયાદ વધુ તપાસઅર્થે મોકલી આપી છે. લગ્ન પહેલા યુવતિના પરિવાર પાસે મોટુ કરીયાવર માગ્યું હોવાનો પણ ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. જેથી પોલીસે ફરિયાદનાં તથ્યો તપાસ્યા બાદ જ પગલા ભરવાનો નિર્ણય કર્યો છે.
સરખેજ પોલીસમથકના પીએસઆઇ ડી. એમ. વણકરના જણાવ્યા અનુસાર આંબાવાડી વિસ્તારમાં રહેતી નીલમ (નામ બદલ્યું છે) વર્ષ ૨૦૦૭-’૦૮ દરમિયાન એરહોસ્ટેસનો કોર્સ કર્યા બાદ તે વર્ષ ૨૦૦૮-’૦૯ દરમિયાન આંબાવાડીની એક સંસ્થામાં ફેકલ્ટી તરીકે ફરજ બજાવતી હતી. અમદાવાદમાં ખાનગી એરલાઇન્સમાં નોકરી કરતી નીલમની સગાઈ ૨૦૦૯ના વર્ષમાં બોપલના અવંતી બંગલોઝમાં રહેતા પાર્થ અમિતભાઈ વસાવડા સાથે થઈ હતી.
સગાઈ કર્યા બાદ પાર્થે નીલમને ફોસલાવી તેની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. ફરિયાદમાં નીલમે કરેલા આક્ષેપો પ્રમાણે પાર્થે તેની સાથેના સહવાસના ફોટા પાડી લઈ તેને બ્લેકમેલ પણ કરી હતી. એક વાર તેને કોલ્ડડ્રિંકસમાં કેફી પદાર્થ પીવડાવી દઈ બોપલના મકાનમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
લગ્ન પહેલા પાર્થ અને તેના પિતા અમિતભાઈ વસાવડા અને માતા દીપ્તિબહેન વસાવડા તેને લગ્નમાં મોટું કરિયાવર લાવવા પણ દબાણ કરતા હતા. આ અંગે પીએસઆઇના જણાવ્યા અનુસાર ફરિયાદની ખરાઈ કર્યા બાદ જ આરોપીઓ વિરુદ્ધ પગલાં લેવાશે.