કૃષિવિભાગે બહાર પાડેલું ટેન્ડર ભરનાર ઉત્તરપ્રદેશની બે કંપનીઓએ ગુજરાત સરકાર કરતા ઉત્તરપ્રદેશ સરકારને ઓછા ભાવે મિનરલ મિક્ચર પૂરું પાડી ગુજરાત સરકારને કરોડો રૂપિયાની ખોટ કરાવી હતી. આ અંગે નાયબ પશુપાલન નિયામકે ઉત્તરપ્રદેશની બે કંપનીઓ અને ગુજરાતના ત્રણ ડીલરો વિરુદ્ધ ૧.૫૭ કરોડની છેતરપિંડીની ફરિયાદ આપી છે.
ગુજરાત સરકારના કૃષિ વિભાગે પશુઓના આહાર મિનરલ મિકચરનું વર્ષ ૨૦૦૭માં ટેન્ડર બહાર પાડ્યું હતું. આ ટેન્ડર ઉત્તરપ્રદેશની કામધેનુ ફિડ અને શક્તિ લાઇવ સ્ટોક કીડ્ઝ કંપનીએ ભયું હતું. ઉત્તરપ્રદેશની આ બન્ને કંપનીના ટેન્ડર મંજૂર થયા હતાં અને તેમના ગુજરાતના ત્રણ ડીલરોને માલ સપ્લાય કર્યો હતો.
ગુજરાતના આ ત્રણ ડીલરોએ મિનરલ મિકચર કૃષિ વિભાગને પૂરું પાડ્યું હતું. દરમિયાનમાં સરકારને જાણવા મળ્યું હતું કે, ઉત્તરપ્રદેશની જે કંપનીને કામ આપવામાં આવ્યું છે તે કંપની ગુજરાત કરતાં ઉત્તરપ્રદેશ સરકારને ઘણા ઓછા ભાવે મિનરલ મિકચર પૂરો પાડે છે. વર્ષ ૨૦૦૭થી ૨૦૧૦ના સમયગાળામાં ઉતરપ્રદેશની જે બે કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું તે કંપનીને ચૂકવાયેલા રકમમાંથી ૧.૫૭ કરોડની છેતરપિંડી ગુજરાત સરકારના કૃષિ વિભાગ સાથે કરી હોવાનું બહાર આવ્યું હતું.
જેના આધારે કૃષિ ભવનના નાયબ પશુપાલન નિયામક ડૉ.કિરણકુમાર વસાવાએ ઉત્તરપ્રદેશની કામધેનુ ફીડના એમ.ડી. એસ.પી.શર્મા, શક્તિ લાઇવ સ્ટોકના માર્કેટિંગમેનેજર અમિત શેઠી તેમજ ગુજરાતના ત્રણ ડીલરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપતાં સેક્ટર-૭ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુજરાતના ત્રણ ડીલરો પૈકી બે ડીલરો ઉત્તર ગુજરાતના અને એક ડીલર અમદાવાદના છે જેમની તપાસ કરવામાં આવશે.