તાજેતરમાં વી.એસ. હોસ્પિટલની નજીકના વિસ્તારમાં એક યુવાને આત્મહત્યા કરી હતી. આ યુવકની ઓળખ નહીં મળતી હોવાના કારણે પંચનામુ કરીને પોલીસ તેના મૃતદેહને વી.એસ. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા ગઈ. ત્યાં પહોંચ્યા પછી જાણવા મળ્યું કે, વી.એસ. હોસ્પિટલનો કોલ્ડ સ્ટોરેજ તો પાછલા ૨૫ દિવસથી બંધ છે. અન્ય એક કિસ્સામાં પાલડી વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાનું અવસાન થયું. આ મહિલાનો એકનો એક પુત્ર અમેરિકા રહેતો હોવાથી તે પુત્રએ પોતાના આગમન સુધી માતાના મૃતદેહને સાચવી રાખવા માટે સગાઓને વિનંતી કરી.
જેથી મૃત વૃદ્ધાનો મૃતદેહ લઈને સગાઓ વી.એસ. હોસ્પિટલ પહોંચ્યા.આ બંને કિસ્સામાં મૃતદેહને સાચવવા માટે પોલીસ અને પ્રજાએ સિવિલ હોસ્પિટલનો સહારો લેવો પડ્યો. આ મામલે નામ નહીં આપવાની શરતે હોસ્પિટલના સૂત્રોએ કેટલીક ચોંકાવનારી વિગતો જણાવી. તદ્નુસાર વી.એસ. હોસ્પિટલમાં મૃતદેહો સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજના બે યુનિટ બનાવવામાં આવ્યા છે. જે પૈકીનું એક: આઠ મૃતદેહોને સાચવવાની ક્ષમતા ધરાવતું યુનિટ તો છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે.
જ્યારે બીજું : ચાર મૃતદેહો સાચવવાની ક્ષમતા ધરાવનારું અન્ય એક યુનિટ તાજેતરમાં જ બંધ થયું છે. વધુમાં જાણવા મળ્યું કે, કોલ્ડ સ્ટોરેજના નિયમિત રિપેરિંગ અને નિભાવ માટેના તો કોન્ટ્રાકટ પણ ફાળવી દેવામાં આવ્યા છે. જો કે, અગમ્ય કારણોસર કોન્ટ્રાક્ટર અથવા હોસ્પિટલ સત્તાધિશો આ યુનિટ શરૂ કરવાના મામલે નિષ્ક્રિય બનીને બેઠા છે.
અનેક રજુઆત છતાં પરિણામ શૂન્ય
પીએમ વિભાગે વખતો-વખત આરએમઓને પત્રો લખીને કોલ્ડ સ્ટોરેજ રૂમ ચાલુ કરાવવા વિનંતી કરી છે. પરંતુ ઈલેક્ટ્રિક વિભાગ આ કામને આગળ વધવા દેતો નથી અને કોલ્ડ સ્ટોરેજ બંધ થવા માટે પીએમ વિભાગના સ્ટાફને જ જવાબદાર ઠેરવે છે. ઈલેક્ટ્રિક વિભાગની દલીલ છે કે, પીએમ વિભાગના કર્મચારીઓ કોલ્ડ સ્ટોરેજના દરવાજા ખુલ્લા રાખે છે. જેના લીધે કુલિંગ રહેતું નથી અને કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ જાય છે. હોસ્પિટલના સત્તાધિશો દ્વારા કોલ્ડ સ્ટોરેજના રિપેરિંગનો કોન્ટ્રાકટ ફાળવવામાં આવ્યો હોવા છતાં આ પ્રકારની બેદરકારી જોવા મળે છે.
પોલીસ-પ્રજાને હેરાનગતિ
વી.એસ. હોસ્પિટલની નજીકના પોલીસ સ્ટેશનોમાંથી કોઈ અજાણી લાશ મળે તો સામાન્ય રીતે તે લાશનું પોસ્ટમોર્ટમ વી.એસ. હોસ્પિટલમાં થાય છે. પણ ત્યારબાદ લાશને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા પોલીસે સિવિલ હોસ્પિટલ સુધી જવું પડે છે. પોલીસ અને શહેરીજનો મહિને ઓછામાં ઓછા ૨૦ જેટલા મૃતદેહો કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા આવતા હોય છે. પણ અહીંના કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાથી તેમને પાછા જવું પડે છે.
શું આરએમઓ અજાણ હોઈ શકે?
વી.એસ. હોસ્પિટલના સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ બહારગામની કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય અને તેના મૃતદેહને ત્રણ-ચાર દિવસ માટે વી.એસ. હોસ્પિટલમાં સાચવીને મૂકવાનો હોય તો તેના માટે આરએમઓને ઉદ્દેશીને એક અરજી કરવાની હોય છે. ત્યારબાદ મૃતકનો મરણ દાખલો જોઈને આરએમઓ આ લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવા અંગેનો નિર્ણય લેતા હોય છે.
જો આરએમઓ દ્વારા મંજુરી અપાય તો મૃતદેહ સાચવવા માટે પ્રતિદિન ૨૦૦ રૂપિયા ભરવાના હોય છે. આમ, કોલ્ડ સ્ટોરેજની પ્રક્રિયામાં આરએમઓની સહી જરૂરી છે. આમ છતાં શું આરએમઓ સાહેબ અજાણ હોઈ શકે ખરા?
‘પોસ્ટ મોર્ટમ વિભાગને પૂછો’
પ્રશ્ન : હોસ્પિટલનો કોલ્ડ સ્ટોરેજ રૂમ બંધ છે? તેનું કારણ શું?
જવાબ: હા. કોલ્ડ સ્ટોરેજ મેન્ટેનન્સના અભાવે બંધ છે. આ અંગે મારી પાસે વધારે માહિતી નથી. ઈલેિકટ્રક વિભાગવાળા આ અંગે વધુ વિગત આપી શકે.
પ્રશ્ન : આઠ લાશોનું કોલ્ડ સ્ટોરેજ રૂમ તો પાછલા ત્રણ વર્ષથી બંધ છે. તેનું કારણ શું છે?
જવાબ : આની માહિતી પોસ્ટ મોર્ટમ વિભાગ જ આપી શકે.
પ્રશ્ન : પણ, હોસ્પિટલ તો આપના અંડરમાં આવે છે? .
જવાબ : કોલ્ડ સ્ટોરેજની માહિતી તો હોસ્પિટલનો ઈલેક્ટ્રિક વિભાગ જ આપી શકશે. મેન્ટેનન્સ અંગેની માહિતી હાલ મારી પાસે ઉપલબ્ધ નથી. - ડૉ. ડી.એસ. ચંદાણા , આરએમઓ, વી.એસ. હોસ્પિટલ