ગુરુવારે ૨૫મી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં તુલસી એન્કાઉન્ટર કેસની સુનાવણી દરમિયાન ગુજરાત સીઆઇડી ક્રાઇમ તુલસી અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ એકબીજા સાથે સંકળાયેલા ન હોવાનો દાવો કરે તેવી સંભાવના છે.
તુલસી એન્કાઉન્ટરના હેતુ માટે ફાંફા મારતી સીઆઇડી ક્રાઇમ તુલસી એન્કાઉન્ટરની તપાસ સીબીઆઇ પાસે જતી અટકાવવાનો પ્રયાસ કરશે! બીજી બાજુ તુલસી પ્રજાપતિની માતા નર્મદાદેવીના વકીલ ત્રણથી ચાર સપ્તાહની મુદત માગે તેવી પણ માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્તવિગતો મુજબ, સીઆઇડી ક્રાઇમ એવી રજુઆત કરશે કે, તુલસીએ જુન-૨૦૦૬માં રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગને લખેલા પત્રમાં એન્કાઉન્ટરની દહેશત વ્યક્ત કરી છે, પરંતુ સોહરાબુદ્દીન સાથેની ત્રીજી વ્યક્તિ તુલસી પોતે હતો અને તે માટે તેનું એન્કાઉન્ટર કરવામાં આવે, તેવો કોઈ ઉલ્લેખ નથી.
જોકે તુલસી કેસમાં તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમની ટીમની અત્યાર સુધીની તપાસમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જે સોહરાબુદ્દીન અને તુલસી એન્કાઉન્ટર એકબીજા સાથે સંકળાયેલા હોવાનું સાબિત કરી શકે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
સીબીઆઇ તરફથી કેટીએસ તુલસી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એજાઝ ખાનની સામે અન્ય મોટા ગજાના વકીલોની ફોજ પણ મેદાનમાં ઊતારાશે તેવી પણ સંભાવના છે.
સીબીઆઈ હમીદલાલા મર્ડરકેસની તપાસ માગે તેવી સંભાવના
ઉદેપુરમાં ડિસેમ્બર-’૦૪માં ડોન હમીદલાલાની કરાયેલી હત્યાની તપાસની પણ સીબીઆઇ માગણી કરે તેવી સંભાવના છે. સોહરાબુદ્દીને રાજસ્થાનના મરિયમ માર્બલ્સ પાસે ખંડણીની માગણી કરી હતી, પરંતુ સંચાલકોએ ડોન હમીદલાલાની મદદથી સોહરાબુદ્દીન, તુલસી અને સિલ્વેસ્ટરને જેલમાં પુરાવી દીધા હતા. આ વાતનો બદલો લેવા માટે સોહરાબુદ્દીન અને તેના સાગરીતોએ હમીદલાલાની હત્યા કરી હતી.
તુલસી પ્રજાપતિની અરજીમાં સોહરાબનો ઉલ્લેખ જ નથી
તુલસીએ ઉદેપુર જેલમાંથી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ કરેલી અરજી અંગ્રેજીના રનિંગ હેન્ડરાઈટિંગમાં ડ્રાફ્ટ થયેલી છે. અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે, સહઆરોપીનું એન્કાઉન્ટર થયું હોવાથી તેને બોગસ એન્કાઉન્ટરમાં ઠાર મરાશે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે, પરંતુ સહઆરોપીનું નામ નથી.
તેણે લખ્યું છે કે ‘આજકાલ ગુજરાત એટીએસ એન્કાઉન્ટરો કરી રહી છે ત્યારે તેને પણ મુદતે લઈ જતી વખતે કસ્ટડીમાંથી ફરાર બતાવી એન્કાઉન્ટરમાં મારી નખાશે. ત્યાર બાદ તેના નામે અસંખ્ય કેસ નાખી દેવાશે. અરજીની નીચે હિન્દીમાં તુલસીરામ પ્રજાપતિની સહી છે.