-ફડચા અધિકારીએ કુલ છ સામે પોલીસમાં ફરિયાદ આપી
-રજીસ્ટ્રાર સમક્ષ હાજર થવા ફરમાન
-ડિપોઝીટની રકમ ચૂકવવાની પ્રક્રિયા શરૂ
ખંભાત નગરની સૌથી જૂની સહકારી બેંક ધી કેમ્બે હિન્દુ મરચન્ટ બેંકના મેનેજર સહિત અન્ય અધિકારી, કર્મચારીની સંડોવણીથી બેંકમાં ગેરરીતિ ઉચાપત અને ખોટા નિર્ણય કરી ૨.૪૩ કરોડ જેટલી માતબર રકમની ગેરરીતિ બહાર આવતાં ફડચા અધિકારી કનુભાઈ પારઘી દ્વારા રાજ્ય રજીસ્ટ્રારની સીધી સૂચના ને માર્ગદર્શન અંતર્ગત બેંકના મેનેજર સહિત પાંચ સામે ફોજદારી ગુનો દાખલ કરતી ફરિયાદ દાખલ કરવા કવાયત હાથ ધરી છે.
સુત્રોના જણાવ્યાનુસાર, ફડચા અધિકારી કનુભાઈ પારઘીએ બેંક મેનેજર અનિલભાઈ શાહ સહિત કુલ પાંચ સામે ફરિયાદ કરતી અરજી આપ્યાનાં ચાર દિવસ પછી પણ શહેર પોલીસે એફઆઈઆર નોંધવાની દિશામાં કાર્યવાહી ન કરતા નગરજનોમાં અચરજની લાગણી ઉઠી છે. જો ક પોલીસ મથકનાં મુખ્ય પોલીસ મુખ્યમંત્રીનાં સદભાવના મશિન કાર્યક્રમનાં બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનું જણાવી રહ્યા છે. ફડચા અધિકારી કનુભાઈ પારઘી દ્વારા કરાયેલા ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે, બેંકના સભાસદો, થાપણદારોના ખાતામાંથી ગેરરીતિ ઉચાપત જેવા ગંભીર ગુના વર્ષ-૨૦૦૩થી ર૦૦૯ના સમયગાળા દરમિયાન કરી અંદાજે ર કરોડ ૪૩ લાખની ગેરરીતિ કરી બેંકને ફડચામાં જાય તેવી સ્થિતિમાં લાવી દેવાની પ્રવૃતિ કરી છે. જેને કારણે બેંક સામે નાણાંકીય સંકટ સર્જાતાં અંતે બેંક ફડચામાં જતાં બેંકનું ર૦૦૩થી રીઓડિટ થતાં અનેક ચોંકાવનારી હકિકતો બહાર આવી છે.
ફડચા અધિકારીએ બેંકના મેનેજર અનિલભાઈ રસિકલાલ શાહ, ઉર્વિશ કનુભાઈ શાહ, દિલીપ જીતેન્દ્રભાઈ શાહ, સંદીપસિંહ ગોવિંદસિંહ શિણોલ, જયેશભાઈ અંબાલાલ શાહની સંયુક્ત મંડળી દ્વારા એકબીજાની મદદગારી દ્વારા રૂ.૨ કરોડ ૪૭ લાખ ૬૯પ અને ૮૭ પૈસાની ગેરરીતિ કરતાં તમામ સામે ઇપીકો કલમ ૪૦૯, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૧૨૦બી, ૧૧૪, ર૪૦ મુજબ ગુનો દાખલ કરવાની માગણી કરી છે.
આમ બેંક ફડચામાં ગયા બાદ સહકારી કાયદાની કલમ હેઠળ બોર્ડ ડિરેક્ટરર્સને નોટિસ ફટકારી કાનૂની કાર્યવાહી આરંભ્યા બાદ કર્મચારી સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરાતાં તાલુકા સહકારી આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે.
રજીસ્ટ્રાર સમક્ષ હાજર થવા ફરમાન
બેંકનાં ડિરેક્ટરર્સ સામે સહકારી કાયદાની કલમ-૯૩ મુજબ નોટિસ બજાવ્યા બાદ ગત તા.૩જીના રોજ ગાંધીનગરથી સીધી ટપાલ દ્વારા ડિરેક્ટરર્સને રજીસ્ટ્રાર સમક્ષ હાજર થવા નોટિસ ફટકારાતાં તેઓમાં પણ દોડધામ મચી ગઈ છે. ડિરેક્ટરર્સ સામે સહકારી કાયદાની કલમ ૯૩ કેવો વણાંક લે છે, તે તરફ સહુની મીટ છે.
ડિપોઝીટની રકમ ચૂકવવાની પ્રક્રિયા શરૂ
બેંક ફડચામાં ગયા બાદ ત્રણ વર્ષના સમયગાળા બાદ ચાલુ માસથી વીમા કંપની દ્વારા ખાતેદદારોને રકમ પરત મળે તે રીતે રકમ ફળવાતા ફડચા અધિકારી દ્વારા પ્રથમ ખાતેદારોને ડિપોઝીટની રકમ ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ને બીજી તરફ ગેરરીતિ કરનાર કર્મચારીઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરાતાં હજુ જુનાં ઘણાં પોપડા ખુલી શકે તેમ છે.