મ્યુનિ.નો મહત્વાકાંક્ષી બીઆરટીએસ પ્રોજેક્ટ કહેવાતા નિષ્ણાત કન્સલ્ટન્ટસ તથા કંપનીઓ માટે પ્રયોગ કરવાની લેબોરેટરી બની ગયો છે. સૌપ્રથમ મુંબઇની કંપનીને આપેલો કરોડો રૂપિયાનો આઇટી કોન્ટ્રાક્ટ હવે રદ કરીને નવી કંપનીને આપવામાં આવ્યો છે, પરંતુ જૂની કંપની સામે શું પગલાં લેવાશે તે તંત્ર કે શાસક પક્ષ સ્પષ્ટ કરી શક્યા નથી.
બીઆરટીએસમાં આઇટીથી સજ્જ કરવા માટે મ્યુનિ. સત્તાધીશોએ ટેન્ડર બહાર પાડ્યાં હતાં, જેમાં મુંબઇની કાયઝન કંપનીને ૧૫૩.૧૮ કરોડના ખર્ચે ૧૭૦ બસસ્ટેશન તથા ૨૮૦ બસોમાં આઇટી સિસ્ટમ લગાવવા તથા ઓપરેટ કરવાનો કોન્ટ્રાક્ટ સાત વર્ષ માટે આપવાનો ઠરાવ કરી દેવાયો હતો. તે સમયે વિરોધપક્ષ કોંગ્રેસે આ કંપની મુંબઇમાં નિષ્ફળ નિવડી હોવાની રજુઆત કરી તેનું ટેન્ડર મંજુર કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ શાસક ભાજપે બહુમતીના જોરે ટેન્ડર મંજુર કરી દીધું હતું. પાછળથી અમદાવાદ જનમાર્ગ લિમિટેડની બેઠકમાં શરૂઆતમાં કંપનીને ૩૦ બસ સ્ટેશન અને ૫૦ બસોમાં આઇટી સિસ્ટમ લગાવવાની કામગીરી માટે ૭૪.૧૧ કરોડનો કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય કરાયો હતો.
ડેપ્યુટી કમિશનર યુ.સી. પડિયાએ જણાવ્યું હતું કે, કાયઝન કંપનીએ ૧૫-૧૦-૦૯થી કામ શરૂ કરી દીધું હતું પરંતુ કંપનીની કામગીરી સંતોષકારક નહિ હોવાથી મ્યુનિ. કમિશનરે વારંવાર કંપનીને નોટિસ આપી હતી અને છેવટે કંટાળી જઈ ૩૧-૧૨-૦૯ના રોજ ટર્મિનેશન નોટિસ ફટકારી દીધી હતી. હાલમાં કાયઝન કંપની દ્વારા ૨૬ બસ સ્ટેશન, ૪૩ બસ અને સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ચલાવવામાં આવે છે, જ્યારે બાકીનાં ૧૭ બસસ્ટેશન ઉપરની આઇટી સિસ્ટમ ગુજરાત સરકારની જીઆઇપીએલ ચલાવે છે.
કાયઝન કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની નોટિસ ફટકાર્યા બાદ મ્યુનિ.કમિશનરે બીજા ટેન્ડર મંગાવતાં તેમાં બે કંપનીઓએ રસ દાખવ્યો હતો, પરંતુ વયમ ટેક્નોલોજી લિમિટેડ તથા સ્પેનની જીએમવી કંપનીના સંયુક્ત સાહસ દ્વારા ૧૧૬ બસ અને ૧૫૦ બસસ્ટેશન માટે ૭૭.૪૧ કરોડનું લોએસ્ટ ટેન્ડર રજુ કરવામાં આવતાં કમિશનરે આ કંપનીને પ્રાયોગિક ધોરણે છ માસ માટે કામગીરી સોંપવા તથા કાયઝનનો કોન્ટ્રાક્ટ રદ કરવાની દરખાસ્ત સ્ટે.કમિટીમાં રજુ કરી હતી.