ઝાંખરિયામાં પતિ અને પત્નીનો નાથકૂવામાં ફાંસો ખાઇ આપઘાત
પતિ પત્ની અને સાળીના પ્રણય ત્રિકોણમાં આખરે પંદર દિવસ પહેલા પતિએ ઝાંખરીયા ગામે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જ્યારે સગી બહેનની દગાખોરીથી પતિ ગુમાવ્યાના દુ:ખમાં પત્નીએ તેના પિયર નાથકુવામાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘંબા તાલુકાના નાથકુવાની કપીલાબેન(ઉવ.૧૯)ના લગ્ન ઝાંખરીયા ગામના દિનેશભાઇ ભુરસીંગભાઇ રાઠવા સાથે જ્ઞાતિના રીત રિવાજ અને વડીલોની ઉપસ્થિતિમાં અગ્નીસાક્ષીએ થયા હતા. લગ્ન બાદ અવાર નવાર દિનેશભાઇ રાઠવા તેની સાસરી નાથ કુવા આવતો હતો. જ્યારે તેની નાની સાળી પણ અવારનવાર તેની બહેનને મળવા ઝાંખરીયા જતી હતી. આ સમય દરમિયાન બનેવી અને સાળી વચ્ચે આંખ મળી ગઇ હતી. બીજી તરફ સમાજ દ્વારા બાંધવામાં આવેલા તમામ નિતિ નિયમોના વાડાઓ ઓળંગી ગયા હતા. આ પ્રેમ સબંધની જાણ કપીલાના પિયરમાં થતા સમજાવટ અને ચર્ચાઓનો દૌર ચાલ્યો હતો.
પરંતુ આ છતાં પ્રેમમાં માનનાર દિનેશભાઇ તેની સાળીને છોડવા તૈયાર ન હતો. દરમિયાન રૂપિયાની અછત અને પ્રેમિકાને છોડવા ન માંગતા દિનેશ ભુરસિંગે પંદર દિવસ પહેલા તેના ઘરે ઝાંખરીપુરા ગામે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું.
બીજી તરફ બહેન દ્વારા દગાનો ભોગ બનનાર કપીલાને તેના પતિની યાદ સતાવતી અને બહેનનો દગો તેને ડંખ દેતો હતો. આખરે કપીલાએ પણ આ ફાની દુનિયાને અલવિદા કરવાના આશયથી ગત તા.૧૧ ફેબ્રુઆરી ના રોજ નાથ કુવા તેના પિયરમાંજ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
આ કરુણામય બનાવને પગલે મૃતકના પરિવારજનો માં ગમગીની પ્રસરી ગઇ હતી. તેમજ આ ઘટનાને પગલે નાની બહેનના માથે ગામ લોકો અને જ્ઞાતજિનો માછલા ધૂએ છે. આ અંગે પાવાગઢ પોલીસે અકસ્માત નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે હાલના તબક્કે પોલીસ શુ કાર્યવાહી હાથ ધરે છે તેની પર મીટ મંડાઇ છે.
પ્રેમ પ્રકરણમાં પંચ બેઠું હતું
પતિ પત્ની અને સાળીના પ્રેમ પ્રકરણમાં આખરે પંચ બેઠું હતું. પતાવટ માટેની રકમ ચાર લાખ નક્કી થઇ હતી. પરંતુ આટલી મોટી રકમ ભરવા પતિ અસમર્થ હતો. બીજી તરફ તે તેની સાળીને છોડવા પણ માંગતો ન હતો.