સીબીઆઇના સાક્ષી બનેલા પાયોનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફાયરિંગ કેસના આરોપીઓએ પાયોનિયર કેસમાંથી પોતાને બિનતહોમત છોડવા અરજી કરી છે.
ડિસેમ્બર,૨૦૦૪માં પાયોનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફાયરિંગ મામલે ગુજરાત એટીએસએ મહેન્દ્રસિંહ ઝાલા, સિલ્વેસ્ટર, રમઝાન ઉર્ફે ડોન હનીફ કુરેશી, નૂરમોહમંદ ઘોઘારી, યુસુફ હાસમભાઇ મેમણ, આઝમ દાઢી, બિલ્ડર- રમણ પટેલ, દશરથ પટેલ અને મણિભાઈ શાહની સામે પુરાવા એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી.
હવે ૨૦૧૦ના વર્ષમાં ઉક્ત આરોપીઓ પૈકીના સિલ્વેસ્ટર, હનીફ કુરેશી અને યુસુફ મેમણે સીબીઆઇની ચાર્જશીટના આધારે સેશન્સ કોર્ટ સમક્ષ અરજી કરી છે અને પાયોનિયર કેસમાંથી પોતાને બિનતહોમત છોડવા દાદ માગી છે.
આ ત્રણેય આરોપીઓએ પોતાની ઉક્ત અરજીમાં એટીએસ દ્વારા ખોટી રીતે કેસ ઊભો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સોહરાબુદ્દીન કેસના સાક્ષી અને પાયોનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રમણ પટેલે પોતાના સીબીઆઇ સમક્ષના નિવેદનમાં આ કેસની તપાસ ખોટી રીતે થઈ હોવાનું અને સત્ય બહાર લાવવા સીબીઆઇ તપાસની જરૂર હોવાનું જણાવ્યું હતું.
આ સાથે જ રમણ પટેલે પાયોનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની ફાયરિંગની ઘટનાને અને સોહરાબુદ્દીન તથા તુલસી એન્કાઉન્ટરને સીધો સંબંધ હોવાની વિગતો પણ સીબીઆઇને આપી હતી. તદ્અનુસાર પાયોનિયર કેસમાં એટીએસએ સોહરાબના સાગરીતોને પકડ્યા હતા. ત્યાર બાદ એટીએસની ટીમ સોહરાબુદ્દીન અને કૌસરબીને અમદાવાદ લાવી હતી. આમ સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનાં મૂળિયાં પાયોનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા હોવાથી આરોપીઓની અરજી મહત્વના પરિણામ લાવી શકે છે.
કાનૂની ગૂંચ ઊભી થઈ શકે
પાયોનિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેસમાં એટીએસએ તપાસ કરી હતી તેમાં આઠ સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યાં હતાં. જેમાં ગુનો બન્યો હોવાનું તેમજ ગુનાને સાંકળતી કડીઓ અંગે આ તમામ સાક્ષીઓએ ઉલ્લેખ કર્યો હતો.
હવે સીબીઆઈની તપાસમાં એટીએસના આરોપીઓ સાક્ષી બન્યા છે, ત્યારે પાયોનિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેસ અંગે સીઆરપીસીની કલમ-૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ આપવામાં આવેલાં નિવેદનોની સત્યાર્થતા અંગે કાનૂની ગૂંચ ઊભી થઈ છે, કારણ કે સ્વાભાવિકપણે હવે એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે સીબીઆઈની તપાસ સાચી કે પછી મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલાં નિવેદનો સાચાં?
શું હતી કેસની વિગત?
૮ ડિસેમ્બર, ર૦૦૪ના રોજ નવરંગપુરા સ્થિત પ્રતિમા સોસાયટીમાં આવેલી ‘પાયોનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ની ઓફિસ પર થયેલી ગોળીબારની ઘટનામાં નવરંગપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપાઈ હતી. ક્રાઈમબ્રાન્ચમાંથી વણઝારાની બદલી એટીએસમાં થઈ હતી. એટીએસમાં તપાસ આંચકીને સોહરાબુદ્દીનના સાગરીતોની એક પછી એક ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
એટલું જ નહીં પાયોનિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિકો રમણ પટેલ અને દશરથ પટેલે માહિતી છુપાવી હોઈ તેમને પણ આરોપી તરીકે દર્શાવી જેલભેગા કર્યા હતા. આમ આ પ્રકરણમાં સોહરાબુદ્દીનના સાગરીતો અને રમણ પટેલ, દશરથ પટેલ અને નાણાંની વસૂલાત માટે સોપારી આપનાર મણિલાલ શાહની ધરપકડ કરી કોર્ટમાં તમામ સામે ચાર્જશીટ મૂકી હતી. જો કે આ કેસમાં એટીએસએ સોહરાબુદ્દીનના નાના ભાઇ મુન્ના ઉર્ફે નાયાબુદ્દીન અનવરુદ્દીન શેખને વોન્ટેડ દર્શાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મુંબઇ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ મુન્નાની ધરપકડ કરી હતી અને તે એકે ૪૭ તેમજ અન્ય ઘાતક હથિયારો સાથે ઝડપ્યો હતો. જો કે આશ્ચર્યજનક રીતે પાયોનિયર કેસનો આ આરોપી મુન્નો હાલ સીબીઆઈના સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ એફિડેવિટો રજુ કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી તેની ધરપકડ થઈ નથી.
‘આખો કેસ ઉપજાવી કાઢેલો હતો’
સિલ્વેસ્ટર, હનીફ કુરેશી અને યુસુફ મેમણને પાયોનિયર કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા માટે અરજી કરી છે, કારણ કે આ સમગ્ર કેસ ખોટી રીતે ઉપજાવી કાઢેલો છે અને હકીકતમાં ફાયરિંગની કોઈ ઘટના બની જ નહોતી. સીબીઆઈ તપાસમાં પણ આ મુજબનાં તથ્યો બહાર આવ્યાં છે. તદ્ઉપરાંત આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તેથી આવા ગંભીર ગુનાની ટ્રાયલમાંથી તેમને મુક્તિ આપવી જોઈએ. હાસીમ કુરેશી, ત્રણેય આરોપીઓના એડ્વોકેટ અગાઉ કોર્ટે અરજી ફગાવી હતી
આરોપીઓ સામે પ્રથમદર્શનીય કેસ છે. સીબીઆઈ અને એટીએસ અલગ-અલગ તપાસ એજન્સીઓ છે. આ કેસમાં આરોપીઓ સામે એટીએસએ તપાસ કરી પુરાવા એકઠા કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી. ત્યારબાદ આ આરોપીઓએ આ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા માટે એક અરજી કરી હતી.
જો કે કેસના દસ્તાવેજોનો અભ્યાસ કરી સેશન્સ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. આ હુકમ સામે આરોપીઓએ હાઈકોર્ટમાં કોઈ કાર્યવાહી કરી નથી. હવે આરોપીઓએ બીજી વખત સેશન્સ કોર્ટ સમક્ષ જ આ પ્રકારની અરજી કરી છે. તેથી આ અરજી ટકી શકે તેમ નથી.