વીજકેપનીએ માંડવી, પાણીગેટ, વાડી અને બરાનપુરા વિસ્તારમાં સાગમટે દરોડા પાડી રૂ..૪.પ૦ લાખની વીજચોરી ઝડપી કસૂરવારો સામે કાર્યવાહી કરી હતી.પાણીગેટના કહાર મહોલ્લામાં વીજચોરી પકડાતા બે જુ. ઇજનેરો પર હુમલો કરાયો હતો.
ગુરુવારે વાડી, બરાનપુરા, માંડવી, પાણીગેટના રહેણાક વિસ્તારોમાં સવારે ૮ વાગ્યાથી આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં ૩૦ જોડાણોમાં વિવિધ પ્રકારની ગેરરીતિ આચરીને વીજચોરી થતી હોવાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં વીજચોરી કરનારા ગ્રાહકોનાં વીજજોડાણ કાપી નાંખવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વિજિલન્સ ટીમોએ વીજચોરી કરનારા કસૂરવારોને રૂ..૪.પ૦ લાખની દંડનીય આકારણીનાં બિલો ફટકાર્યાં હતાં.
પાણીગેટ કહાર મહોલ્લામાં વીજ જોડાણો ચકાસતી વેળા વીજચોરીના પાંચ જેટલાં કેસ ઝડપાતાં ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશોએ વીજ કંપનીના બે જુનિયર એન્જિનિયરો પર હુમલો કર્યો હતો. આ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદનાં ચક્રો ગતિમાન કરાયાં છે.
વીજળીનો વપરાશ કર્યા પછી મહિનાઓ સુધી વીજળીનું બિલ નહીં ભરનારા પ૦ જેટલાં ગ્રાહકોનાં વીજ જોડાણો કાપી નાંખવામાં આવ્યાં હતાં. જેના પગલે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.