- પોલીસે આઇ.ડી. પ્રૂફના આધારે એકને રાજસ્થાનથી પકડ્યો
- ચોરી માટે સતત દસ દિવસ સુધી દીવાલમાં ખોદકામ કરાયું હતું
- ચોરી પહેલા અંબિકા જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં રેકી કરી હતી
સમા રોડ અભિલાષા ચોકડી પાસે એક મહિના પહેલાં અંબિકા જવેલર્સમાં તસ્કરોએ રૂ.૫૦ લાખના દાગીનાની ચોરી કરતાં આ બનાવના પોલીસ બેડાની ઊંઘ હરામ થઇ ગઇ હતી. આ બનાવની ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતાં ચોરીના બનાવમાં રાજસ્થાની ગેંગની સંડોવણી જણાઇ હતી.
પોલીસે મોબાઇલ લોકેશન અને સ્થાનિક લોકોની પૂછપરછના અંતે ચોરીમાં સંડોવાયેલા એક શખ્સને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડતાં ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી શકી હતી. પોલીસે અન્ય ત્રણ શખ્સની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. જ્યારે ઝડપાયેલા શખ્સ પાસેથી ૧ લાખનો મુદ્દામાલ રિકવર થઇ શક્યો હતો.
અભિલાષા ચોકડી પાસે આવેલા અંબિકા જવેલર્સની દીવાલમાં કાણું પાડી ૧૭ જુલાઇએ તસ્કરોએ ધોળા દિવસે ૫૦ લાખના દાગીનાની ચોરી કરી હતી. આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એન.વી. પટેલને સોંપાઈ હતી.
પી.આઇ.એ અભિલાષા ચોકડી નજીકના વિસ્તારોની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ વિસ્તારમાં રાજસ્થાની વ્યક્તિઓ સૌથી વધુ રહે છે. પોલીસે આ વિસ્તારમાં ભાડેથી રહેતા વ્યક્તિઓની તપાસ કરતાં માહિતી મળી હતી કે, તક્ષશિલા સોસાયટીમાં મકાન ભાડે રાખનારા ચાર શખ્સ બનાવ બન્યો તે દિવસથી ગાયબ થઇ ગયા છે.
પોલીસને ભાડૂઆતે પોલીસ સ્ટેશનમાં આપેલા પ્રૂફની ચકાસણી કરતાં મકાન ભાડે રાખનાર શખ્સનું નામ ગણપતસિંહ કુમારસિંહ ભાટી (રહે. કુશીપ ગામ, જિ.બાડમેર, રાજસ્થાન) હોવાનું ખૂલતાં પોલીસે ગઇકાલે કુશીપ ગામ ખાતે છાપો મારી ગણપતસિંહને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે ચોરીના ગુનાની કબૂલાત કરી હતી અને તેની પાસેથી રૂ.૧ લાખની કિંમતના દાગીના પણ રિકવર થયા હતા. ચોરીના બનાવમાં અન્ય ત્રણ શખ્સ પ્રતાપ, મહેન્દ્ર અને ગજેન્દ્ર સંડોવાયેલા હોવાનું ગણપતસિંહે જણાવતાં પોલીસે આ ત્રણેની પણ તપાસ હાથ ધરી છે. ચોરી કરતાં પહેલા તેઓ અંબિકા જવેલર્સમાં કેટલો મુદ્દામાલ છે તેની તપાસ ગ્રાહકના સ્વાંગમાં કરી હતી.
ત્યાર બાદ તેઓએ એજન્ટ મારફતે મકાન ભાડે રાખ્યું હતું અને દસ દિવસ સુધી તેઓ રોજ દીવાલમાં થોડુંખોદકામ કરતા હતા અને જે દિવસે દીવાલ તોડી તે દિવસે તેઓ દાગીના લઇને રાજસ્થાન રવાના થઇ ગયા હતા. બાકીના દાગીના અન્ય ત્રણ તસ્કરો પાસે હોવાનું ગણપતસિંહે જણાવતાં પોલીસે તેના નવ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.