વાઈબ્રન્ટ સમીટનો ઉદ્દેશ: અગાઉ કરતાં વધુ રોજગારી મળશે

- સમીટનો ઉદ્દેશ્ય લઘુ-મધ્યમ વર્ગના ઉદ્યોગોને પ્રોત્સાહ તથા રોજગારીનો છે
- હાલનું શિક્ષણ અને ભવિષ્યના શિક્ષણનું સચિત્ર રજૂ કરાશે
- આ સમીટમાં સોલાર ગામનો ચિતાર અપાશે
- ૧૧૦૦ સ્ટોલ ઊભા કરાશે: અગ્રસચિવ મહેશ્વર સાહુ
રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્રસચિવ મહેશ્વર સાહુએ જણાવ્યું હતું કે, આ વખતે સમીટનો મુખ્ય ધ્યેય ઇન્વેસ્ટમેન્ટ નહીં બલ્કે લઘુ-મધ્યમ વર્ગના ઉદ્યોગો તથા રોજગારીનો છે. રોજગારીની પ્રોસેસ ચાલી રહી છે. અત્યારે એટલુ કહી શકું કે, અગાઉ કરતાં વધુ રોજગારી પ્રાપ્ત થશે. આ સમીટમાં સોલાર ગામનો ચિતાર આપવાની સાથોસાથ આજના શિક્ષણ અને ભવિષ્યના શિક્ષણનું સચિત્ર રજૂ કરાશે. આ સમીટમાં ૧૦૦ સ્ટોલ ઊભા કરાશે. તેમાં જુદી જુદી કંપનીઓ પોતાની ૨પ હજારથી વધુ પ્રોડક્ટસ મુકાશે.
તેમણે વધુમાં પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, તા.૬ઠ્ઠી સુધીમાં ૬૮ ઇવેન્ટસ પૂરી થઇ ગઇ છે. તેમાં ૨૨ હજાર ડેલિગેટસે ભાગ લીધો હતો. તેમાં ૪૧૧ દેશના અને ૬૬ આંતરરાષ્ટ્રીય લોકોએ પોતાની વિચારધારા રજૂ કરી હતી. આવતા પાંચ દિવસમાં પ૯ ઇવેન્ટ યોજાશે. તેમાં હજુ બે ઉમેરાવાની શક્યતા છે. એટલે કે ૬૧ ઇવેન્ટ બાકી છે. કુલ ઇવેન્ટ ૧૨૯ થશે. આ વર્ષની સમીટમાં ૧૦પ દેશના ૧૮૦૦થી વધુ વિદેશી ડેલિગેટસ હાજરી આપશે.
અગાઉની વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં ૧૦૧ દેશના ૧૪૦૦ ડેલિગેટસ સામેલ હતા. ભારતમાંથી ૨૨ દેશો વિવિધ પ્રકારે સામેલ થઇ રહ્યા છે. અંદાજે ભારતના પ૦ હજાર ડેલિગેટસ સમીટમાં હાજરી આપશે. દેશના જમ્મુ-કાશ્મીર તથા ર્નોથના ચાર-પાંચ રાજ્યોને બાદ કરતાં મોટાભાગના રાજ્યોએ ભાગ લીધો છે.
ગુજરાતના સંબંધો કેળવાય તે માટે શું કરાયું ?
વિદેશી કંપનીઓ સાથે ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોના ધંધાકીય સંબંધો વધુ મજબૂત બને તેવા હેતુસર વિદેશી ડેલિગેટસ સાથે પહેલેથી જ રાખવામાં આવ્યા છે. એટલે કે વિદેશી મહેમાનોને એરપોર્ટથી આવકારવાથી માંડીને સતત તેમની સાથે રહીને ધંધાકીય તેમની કાળજી રાખવા સહિત તેમને છોડવા સુધીની કામગીરી સોંપવામાં આવી છે.
જાપાનીઝ અભ્યાસ બાદ તુરત જ અમલ કરે છે :
જાપાનીઝ સાથેની પાર્ટનરશિપ જાળવી રાખવા બદલ મહેશ્વર સાહુએ જણાવ્યું હતું કે, જાપાનીઝ ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં સ્ટડી કરવામાં બે વર્ષનો સમય લે છે. પરંતુ અભ્યાસ બાદ એક વર્ષમાં તેના પર અમલ કરે છે.જ્યારે અન્ય દેશો સ્ટડી કરવામાં એક વર્ષ લે છે પરંતુ તેનો અમલ કરવામાં અઢી વર્ષ કાઢે છે.
અગાઉ શું ખામી દેખાઈ હતી :
મેં-૨૦૧૧માં યોજાયેલી સમીટના અભ્યાસ દરમિયાન સરકાર સાથે આદાન-પ્રદાન કરવાનો સમય લોકોને ઓછો મળે છે તેવી ફરિયાદ ઊઠી હતી. તેને નજર સમક્ષ રાખીને આ વખતે ૧૩મી તારીખના રોજ માત્ર બી ટુબી રાખ્યું છે. ભૂલનું પુનરાવર્તન ના થાય તે માટે આ પ્રકારનો નિર્ણય કર્યો છે.
બંને પક્ષ માહિતગાર થશે :
ગુજરાતમાં શું થાય છે તે બીજાને સંદેશો મળે અને દુનિયામાં શું ચાલે છે તેની ગુજરાતને જાણકારી મળે અને બંને પક્ષ એકબીજાથી વાકેફ કરવાનો હેતુ છે, તેમ સાહુએ કહ્યું હતું.






