કોંગ્રેસની સમીક્ષા બેઠક: હારનો દોષનો ટોપલો પ્રદેશપ્રમુખ પર ઢોળાયો
- પસંદગીથી લઈને પ્રચારમાં સ્થાનિક આગેવાનોની અવગણના
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય પછી કોર કમિટીની બેઠકમાં ચૂંટણીમાં કોંગ્રેસના કારમી હારના દોષનો ટોપલો પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પર ઢોળવામાં આવ્યો હતો. અમદાવાદમાં પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં કોંગી આગેવાનો શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, મધુસૂદન મિસ્ત્રી, પ્રવીણ રાષ્ટ્રપાલ સહિતના આગેવાનોની હાજરીમાં કેટલાયે નેતાઓએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાથી માંડીને પ્રચાર કાર્યમાં સ્થાનિક આગેવાનોને વિશ્વાસમાં ન લેવા અંગે બળાપો વ્યક્ત કર્યો હતો.
વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી પંદર દિવસે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ચૂંટણી પહેલાં યોજાયેલી કોર કમિટીની બેઠકનો ઉલ્લેખ કરતાં નેતાઓએ કહ્યું હતું કે, આ બેઠકમાં હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવતાં આદેશો, ઉમેદવારોની પસંદગી, પ્રચારકાર્ય વગેરેમાં જે તે વિસ્તારના નેતાને વિશ્વાસમાં લઈને સંયુક્ત રીતે નિર્ણય લેવાશે પરંતુ ચૂંટણી સમયે તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી હતી. બેઠકમાં પ્રદેશના નેતાઓ વચ્ચે ચૂંટણી સમયે સંકલનના અભાવ અંગેની પણ ફરિયાદ ઊઠી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક આગેવાનો અને નેતાઓનો એકડો કાઢી નાખ્યા પછી નબળી બેઠકો પર પ્રચાર કરવા નેતાઓ ફરક્યા ન હતા આ અંગે પણ નેતાઓએ વ્યથા ઠાલવી હતી.
કોંગ્રેસ રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવશે :
ગુજરાતના નાગરિકોએ આપેલાં ચુકાદાને સ્વીકારતાં કોંગી નેતાઓએ ગુજરાતના નાગરિકોને સ્પર્શતા પ્રશ્નો-સમસ્યાઓ અંગે રચનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ ઉપરાંત નાગરિકોને સતાવતાં પ્રશ્નોની અસરકારક રજૂઆત અને તેના ઉકેલ માટે વિધાનસભામાં રચનાત્મક વિરોધપક્ષની ભૂમિકા નિભાવવા પર ભાર મુકાયો હતો.
પક્ષ વિરોધી કામગીરી કરનારાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે :
વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારની વિરુદ્ધમાં કામ કરવા અંગે ૧૭થી વધુ ફરિયાદો મળી હતી. જેમાં મુખ્યત્ત્વે શહેર-જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ આચરનારા આવા તમામ તત્ત્વો સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. અલબત્ત, આ ફરિયાદો શિસ્ત સમિતિને સોંપવામાં આવશે અને ચકાસણી બાદ ભલામણને આધારે જવાબદાર સામે પગલાં ભરાશે
જનાધાર વધારવા કાર્યક્રમો ઘડવામાં આવશે :
ચૂંટણીમાં પરાજયની સમીક્ષા તથા ભાવિ રણનીતિ ઘડવા માટે યોજાયેલી બેઠકમાં કોંગી નેતાઓએ કોંગ્રેસ જે જે બેઠકો પર પરાજિત થઈ છે તેવા વિસ્તારોના સંગઠનની વાસ્તવિકતાનો ક્યાસ કાઢવામાં આવ્યો હતો. ખાસ કરીને શહેરી વિસ્તારમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા પર ભાર મુકાયો હતો અને આગામી દિવસોમાં શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો જનાધાર વધારવા માટે તબક્કાવાર કાર્યક્રમ ઘડી કાઢવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ૭૭ નગરપાલિકા, બે જિલ્લા પંચાયત અને ૧પ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.






