વાણિજ્યિક વેરા કચેરીએ અમદાવાદ અને નડિયાદના વાસણોના ૨પ વેપારીઓ પર સામૂહિક દરોડા પાડ્યા છે. આ વેપારીઓ બિલ વગરનો માલ વેચતા હોવાનું ધ્યાને આવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાની કામગીરી મોડી રાત્રી સુધી ચાલુ છે.
અમદાવાદમાં રખિયાલ, ઓઢવ, નરોડા વિસ્તારના ૧૧ વાસણના હોલસેલર્સ વેપારીઓ પર તેમજ નડિયાદ કંસારા બજારના ૧૪ વેપારીઓ પર દરોડા પાડયા છે. અમદાવાદ બહાર જતી કેટલીક ટ્રક વેટ કર્મચારીઓએ પકડી હતી જેમાં બિલો મળી આવ્યા નહોતા.
આ બિલો ન આપવાનું એક કારણ એ પણ છે કે જેમાં વેચનારનું નામ જાહેર ન થાય.નોંધનીય છે કે, વાસણો પર પાંચ ટકાના દરે વેટ લાગે છે. બિલ વગર બારોબાર ધંધો કરીને વેટ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ તપાસ શરૂ કરી છે. શુક્રવારે બપોરે બે વાગ્યા બાદ શરૂ કરેલી તપાસમાં સ્ટોક લેવાની અને દસ્તાવેજો ચકાસણીની કામગીરી ચાલી રહી છે.