સવા બે ઇંચ વરસાદમાં નરોડા રોડ જળબંબાકાર

બીઆરટીએસ પ્રોજેકટના કોન્ટ્રાકટરના વાંકે લોકોનાં મકાનોમાં પાણી ઘૂસી ગયાં
મ્યુનિ.ના મહત્ત્વાકાંક્ષી બીઆરટીએસ પ્રોજેકટ અંતર્ગત નરોડાથી કાલુપુર સુધીનો કોરિડોર બનાવવાની કામગીરીમાં થયેલા અસહ્ય વિલંબના કારણે પ્રથમ વરસાદમાં જ નરોડા રોડની હાલત ખરાબ થઇ જવાની આશંકા આખરે સાચી ઠરી છે અને ઉત્તર ઝોનમાં ખાબકેલા બે સવા બે ઇંચ જેટલાં વરસાદના કારણે રોડની બન્ને બાજુની ચાલીઓ-સોસાયટીઓમાં એક એક ફૂટ જેટલાં પાણી ઘૂસી જતાં નાગરિકો હેરાન પરેશાન થઇ ગયાં હતા અને મળતી માહિતી મુજબ મોડી રાત સુધી કેટલીય જગ્યાએ પાણી ઉતર્યા નહોતા.
શહેરમાં પ્રથમ વરસાદે જ મ્યુનિ.નો કહેવાતો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન ધોવાઇ જવાની પરંપરા રહેલી છે, પરંતુ ચોમાસાની શરૂઆત જોરદાર થવાને બદલે ચાર ઝોનમાં હળવા ઝાપટાં પડતાં અને ફકત ઉત્તર ઝોનમાં જ બે સવા બે ઇંચ જેટલો વરસાદ પડતાં મ્યુનિ. સત્તાધીશોની આબરૂ પૂરેપૂરી ધોવાઇ જવાને બદલે અડધી ધોવાઇ છે. ઉત્તર ઝોનમાં સામાન્ય સંજોગોમાં પણ એક બે ઇંચ વરસાદ પડે તો કેટલાય વિસ્તારોમાં એકથી ત્રણ ફૂટ સુધીના પાણી રોડ ઉપર હિલોળા લેતાં હોય છે, પરંતુ આ વખતે નરોડાથી કાલુપુર સુધીના રોડ ઉપર શરૂ થયેલાં બીઆરટીએસ પ્રોજેકટના કારણે રોડની બન્ને બાજુના નાગરિકોમાં મકાનોમાં વરસાદી અને ગટરના પાણી ઘૂસી ગયાની ફરિયાદો ઉઠવા પામી હતી. જ્યારે દક્ષિણ ઝોનમાં તો વરસાદના છાંટા પણ પડયા નહોતા.
કયાં કયાં પાણી ભરાયા
ઉત્તર ઝોનમાં નરોડા-કાલુપુર રોડ ઉપર અમદુપુરા, ચામુંડા બ્રિજ, અરવિંદ મિલ પાસે, મેમ્કો ચાર રસ્તા, બંગલા એરિયા, ભાર્ગવ રોડ, મેઘાણીનગર કલાપીનગર, બાપુનગર તથા એરપોર્ટની પાછળની દીવાલવાળા રોડ સહિતના એરિયામાં
બીઆરટીએસ પ્રોજેકટમાં વિલંબ જ જવાબદાર
નરોડા-કાલુપુર બીઆરટીએસ પ્રોજેકટના અમલીકરણમાં અસહ્ય વિલંબ થયો છે અને ચોમાસામાં તેના કારણે સમસ્યા સર્જાશે તેવું તમામ ર્કોપોરેટરો અને સ્થાનિક નાગરિકો કહી ચૂકયા હતા, તેમ છતાં દિલ્હીના ભાજપ નેતાની વગ ધરાવતાં કોન્ટ્રાકટર મ્યુનિ. અધિકારીઓને ગાંઠતા જ નથી અને તેમની મરજી મુજબ જ કામ કરતાં હોવાનો આક્ષેપ કરતાં ભાજપના જ એક ર્કોપોરેટરે કહ્યું કે, અમારા નસીબ સારા છે કે, બીજા ઝોનમાં બે ત્રણ ઇંચ વરસાદ પડ્યો નથી.
૨૦મીથી રાજ્યમાં ચોમાસુ બેસશે
અરેબિયન સમુદ્રના ઉપરના લેવલ પર સર્જાયેલા ઉત્તર-પૂર્વીય સાઈકલોન સરક્યુલેશનને પગલે વરસાદ થયો છે, તે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી છે. મુંબઇમાં વરસાદ શરૂ થયો નથી, જેથી રાજ્યમાં પણ ચોમાસુ ૨૦મી જૂન પછી શરૂ થવાની સંભાવના છે. ડો. કમલજીત રે, ડાયરેક્ટર, હવામાન વિભાગ
વરસાદની અસર
નવા વાડજ વ્યાસવાડી પાસે વિશાળ ભૂવો પડયો છે. જ્યારે ગાંધીરોડ ઉપર જુમ્મા મસ્જિદ પાછળ એક જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી, કાલુપુર સોદાગરની પોળમાં એક મકાન ભયજનક હાલતમાં હોવાની ફરિયાદ કંટ્રોલરૂમમાં નોંધાઇ છે.






