જમાલપુર માર્કેટમાં ટાઇમપાસ કરવા ભીખ માગતા કરોડપતિને ભીખ આપવા લોકોનો ઇનકાર
જે જમાલપુર માર્કેટમાં રોજ ત્રણ કલાક ભીખ માગી કરોડપતિ મુકુંદભાઈ ગાંધી ટાઇમ પાસ કરતા હતા, તે જ માર્કેટમાં આજે મુકુંદભાઈના ફોટા સાથે એવું બોર્ડ લગાવવામાં આવ્યું હતું કે, આ માણસને કોઈએ ભીખ આપવી નહીં. જો કે બજારમાં તેને ભીખ આપનાર લોકો પણ મુકુંદ ગાંધી પોતાના કરતાં પણ વધુ ધનિક હોવાની માહિતી મળતાં તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા.
એનઆઇડી પાછળ વૈભવી બંગલોમાં રહેતા મુકુંદ ગાંધી રોજ ટાઇમ પાસ કરવા માટે ભીખ માગતા હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થતાં જમાલપુર માર્કેટમાં લોકોએ તેને ભીખ નહીં આપવાનો નિર્ધાર કર્યો હતો. સ્થાનિક લોકો પણ મુકુંદ ગાંધીની વાત જાણી ચોંકી ઊઠયા હતા.
હવે કોઈ કોઈને મદદ નહીં કરે
મુકુંદભાઈ કેટલાય ગરીબોના હકનું ખાઈ ગયા હશે, જરૂરિયાતમંદ લોકો પેટનો ખાડો પૂરવા માટે ભીખ માગે તે વાજબી છે. મુકુંદભાઈ તેમના હકનું લઈ ગયા તે યોગ્ય નથી. શેર અલી સૈયદ
મુકુંદભાઈ ગરીબોના હકનું લઈ જતાં તેમને કુદરત ક્યારેય માફ નહીં કરે.-જાકીરભાઇ પઠાણ
મુકુંદભાઈ જેવા માણસને લીધે હવે કોઈ કોઈને મદદ નહીં કરે.- અમીનાબીબી
કરોડપતિ હોવાની વાત પછી હવે તો ખરેખર કોઈ લાચારને પણ ભીખ આપતાં વિચારવું પડશે.-અલ્લારખીબેન - તમામ તસવીરો શૈલેષ સોલંકી