વધુ તપાસને લગતી અરજીમાં સીટે આરોપીઓ સામે કોઈ પગલાં લીધાં ન હોવાની કોર્ટ સમક્ષ રજૂઆત
નરોડા પાટિયાકેસમાં તહેલકા સ્ટિંગ ઓપરેશન અને રાહુલ શર્માની સીડીને ધ્યાને લીધા બાદ તેમાં સમાવિષ્ટ આરોપીઓ વિરુદ્ધ નવી ચાર્જશીટ ફાઇલ કરવા અથવા તેમની સામે ફરિયાદ રદ કરવા માટે કલમ ૧૬૯નો રિપોર્ટ રજૂ કરવાની જનસંઘર્ષ મંચે માગણી કરી છે. ડેઝિગ્નેટેડ કોર્ટના જજ ડૉ. જયોત્સનાબહેન યાજ્ઞિક સમક્ષ રજૂઆત કરાતાં મંચની અરજી સંદર્ભે જવાબ રજૂ કરવા માટે કોર્ટે સીટને આદેશ આપ્યો છે. આ કેસમાં ગોરધન ઝડફિયા અને ડૉ. જયદીપ પટેલ સહિતના આરોપીઓનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તહેલકાના સ્ટિંગ ઓપરેશનના જયપુર એફએસએલના પ્úથક્કરણમાં ટેપ સાથે કોઈ ચેડાં ન થયા હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. તેમજ અરજીને અનુસંધાને સીટે ગોરધન ઝડફિયા, સવાણી અને પી. બી. ગોંદિયાનાં નિવેદન નોંધ્યાં છે. આ તમામ કાગળો સીટે મંચને આપ્યા હતા. ડૉ. જયદીપ પટેલ સહિત અન્યો સામે પુરાવા હોવા છતાં સીટે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આરોપ જનસંઘર્ષ મંચવતી એડ્વોકેટ ડૉ. મુકુલસિંહા અને એડ્વોકેટ સમશાદ ખાને કર્યો હતો.
તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમણે વધુ તપાસની માગ સાથે ૧૭ જૂન, ૨૦૦૯માં અરજી કરી હતી. જે અરજીને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં તેમની અરજી પરત્વે યોગ્ય પગલાં લેવાયાં નથી. મોબાઇલ ફોન ટાવરની સ્થિતિએ આરોપીઓની હાજરી સ્પષ્ટ જણાઈ આવે છે તો બીજી તરફ તહેલકાના સ્ટિંગ ઓપરેશનમાં પણ આ બાબતને લગતા પુરાવા સામે આવ્યા છે.
એફએસએલનો રિપોર્ટ પણ કહે છે કે સ્ટિંગ ઓપરેશનની કેસેટમાં કોઈ ચેડાં થયાં નથી. તેથી આ કેસમાં ગોરધન ઝડફિયા, સવાણી, ગોંદિયા, જયદીપ પટેલ જેવા લોકોને આરોપી બનાવી નવી પુરવણી ચાર્જશીટ ફાઇલ કરવી જોઈએ. અથવા આ આરોપીઓ વિરુદ્ધ કોઈ ગુનો બનતો નથી, તે મતલબનો કલમ ૧૬૯નો રિપોર્ટ રજૂ કરવો જોઈએ. જોકે સીટ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નથી. જયદીપ પટેલ નરોડાગામ કેસમાં આરોપી છે પરંતુ પાટિયાકેસમાં પણ ષડ્યંત્રકાર તરીકે તેમની મહત્વની ભૂમિકા છે.
સીટની તપાસ ચાલુ છે : સરકાર
સીટ વતી એડ્વોકેટ અખિલેશ દેસાઈ અને વ્યાસે આ અરજી સંદર્ભે સીટે તપાસ કરી હોવાનું તથા હાલ પણ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. જોકે ચોક્કસ બે મુદ્દા સંદર્ભેતપાસ અધિકારી સાથે મસલત કરી જવાબ રજૂ કરવાનું જણાવતા કોર્ટે ૧૪મી સપ્ટેમ્બરે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.