સીટે પોતાના રિપોર્ટ સાથે રાજુ રામચંદ્રનનો રિપોર્ટ જોડયો હોવાની સંભાવના
જનસંઘર્ષ મંચ રાજુ રામચંદ્રનના રિપોર્ટના આધારે નવેસરથી તપાસ માગે તેવી શક્યતા
સોમવારે મેટ્રો કોર્ટમાં સીટના રિપોર્ટના આધારે હાથ ધરાનારી સુનાવણીમાં એમિકસ કયુરી રાજુ રામચંદ્રનનો રિપોર્ટ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીટે રિપોર્ટમાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત ૬૩ લોકોને ક્લીનચીટ આપી છે. દરમિયાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ટ્વીટ કરતા કહ્યું હતું કે 'હું હંમેશા સત્યની પડખે રહ્યો છું.'
જ્યારે એમિકસ કયુરી રાજુ રામચંદ્રને સુપ્રીમ કોર્ટને સોંપેલા પોતાના અહેવાલમાં નરેન્દ્ર મોદી સામે આઈ પી સીની ધારા ૧પ૩ (એ), ૧૬૬ અને પ૦પ હેઠળ ચાર્જશીટ કરી શકાય તેવો અભિપ્રાય આપ્યો હોવાનું સૂત્રો કહે છે. હવે જ્યારે સીટે પોતાના રિપોર્ટની સાથે રાજુ રામચંદ્રનનો રિપોર્ટ જોડયો હોવાની સંભાવના છે. બીજી બાજુ જન સંઘર્ષ મંચના વકીલ મુકુલ સિંહાએ જો અદાલત સીટના રિપોર્ટને કલોઝર રિપોર્ટ તરીકે માન્ય રાખશે તો તેઓ રાજુ રામચંદ્રનના રિપોર્ટના આધારે તેઓ નવેસરથી તપાસની માંગણી કરવાનું કહ્યું હોવાથી આ મુદ્દે કાયદાકીય જંગ છેડાય તેવી શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું છે કે સીટે ૧૦૦૦ પાનાના રિપોર્ટમાં નરેન્દ્ર મોદીને કલીનચીટ આપતા એવા ૭ મુદ્દાઓ ટાંક્યા છે કે જે તેમના હિસાબે રાજુ રામચંદ્રનના રિપોર્ટ સાથે મેળ ખાય છે પરંતુ જે મુદ્દાઓ પર બંને રિપોર્ટમાં વિસંગતા છે તેનો કોઈ ઉલ્લેખ ન હોવાનું સૂત્રો કહે છે. આ જ કારણ છે કે પ્રચાર માધ્યમોમાં સીટ દ્વારા નરેન્દ્ર મોદીને ક્લીનચીટ અપાઈ હોવાના અહેવાલે, ફરિયાદી ઝાકિયા જાફરી તથા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ સાથે જોડાયેલા પીડિતોમાં ભારે રોષ છે.
મુખ્યમંત્રી મોદીને સીટ કયા મુદ્દે કલીનચીટ આપી શકે છે
- રમખાણોના ષડ્યંત્રમાં નરેન્દ્ર મોદીની કોઈ ભૂમિકા નથી.
- ગોધરાકાંડના મૃતદેહોને અમદાવાદ લાવવાનો નિર્ણય ખરો હતો.
- ૨પમી માર્ચ ૨૦૦૨ના રોજ બહુચરાજીમાં નરેન્દ્ર મોદીએ કરેલા નિવેદનો કોમી લાગણી ઉશ્કેરે તેવા ન હતા.
- ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજની વિવાદાસ્પદ બેઠકમાં નરેન્દ્ર મોદીએ હિન્દુઓ પ્રત્યે નરમ વલણ અપનાવવાની સૂચના આપી હોય કે ન આપી હોય પરંતુ અધિકારીઓએ તાબા હેઠળના અધિકારીઓને એવી કોઈ સૂચના આપી ન હતી.
-આઈ પી એસ અધિકારી સંજીવ ભટ્ટના નિવેદનો વિશ્વાસપાત્ર નથી અને તેઓ વિરોધપક્ષના ઈશારે કામ કરે છે.
એમિકસ ક્યૂરીએ કયા મુદ્દે મોદી સામે ચાર્જશીટની ભલામણ કરી હોઈ શકે
જો સંજીવ ભટ્ટ ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ની વિવાદાસ્પદ મિટિંગમાં હાજર ન હોવાનું માનવાને કારણ હોય તો તેઓ ન હોતા તે માનવાને પણ કોઈ કારણ નથી.
એ કે મલ્હોત્રા દ્વારા થયેલી પૂછપરછમાં નરેન્દ્ર મોદીએ પૂછ્યા વગર જ કહ્યું હતું કે સંજીવ ભટ્ટ તે મિટિંગમાં હાજર ન હતા, તેઓ સંજીવ ભટ્ટના નિવેદનને નકારવાની તૈયારી સાથે આવ્યા હતા.
રમખાણો બાદ નરેન્દ્ર મોદીએ બંને કોમ વચ્ચે વૈમનસ્ય વધે તેવા નિવેદનો અને ભાષાણો આપ્યા હતા. જેના લીધે તેમની સામે આઈ પી સીની ધારા ૧પ૩ (એ) હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
૧૯૯૭માં શંકરસિંહ વાઘેલા મુખ્ય મંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદીએ દિલ્હીથી ફોન કરી સંજીવ ભટ્ટ પાસે ઈન્ફોર્મેશન માગી હતી.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં શું આદેશ આપ્યો હતો ?
તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ સુપ્રીમ કોર્ટે સમગ્ર પ્રકરણ નીચલી અદાલતમાં સોંપતા જણાવ્યું હતું કે સીટ ઈચ્છે તો એમિકસ કયુરી રાજુ રામચંદ્રને લીધેલા નિવેદનોની કોપી મેળવી શકે છે. હવે જ્યારે સીટે રાજુ રામચંદ્રનનો રિપોર્ટ પોતાના અહેવાલ સાથે જોડયો હોવાની સંભાવના છે ત્યારે આ બંને વચ્ચેની વિસંગતતા મોટો મુદ્દો બની રહે તેવી શકયતા છે.
એમિક્સ કયુરીને અહેવાલ આપવા કેમ કહેવાયું હતું
અહેસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ નરેન્દ્ર મોદી સહિત ૬૩ લોકો સામે રમખાણોનું ષડ્યંત્ર રચ્યું હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ કરી હતી. તેની સીટ દ્વારા તપાસથી સ્વૈચ્છિક સંસ્થાઓ સંતુષ્ટ ન હોવાથી તેમણે સુપ્રીમમાં અરજી કરી હતી. જે પછી સુપ્રીમે એમિકસ કયુરી રાજુ રામચંદ્રને તેમાં તપાસ કરી પોતાના સૂચનો આપવા કહ્યું હતું.
કેવી રીતે જોડાયેલું છે જનસંઘર્ષ મંચ
જન સંઘર્ષ મંચે, ગુલબર્ગ હત્યાકાંડના સાક્ષી અમરિશ પટેલ વતી નીચલી અદાલતમાં સીટના રિપોર્ટની કોપી મેળવવા અરજી કરી છે, તેથી હવે તે પણ ઝાકિયા જાફરીની સાથે આ સમગ્ર પ્રકરણમાં પાર્ટી બની ગયું છે.
સીટના રિપોર્ટના મામલે આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી
ગોધરાકાંડનાં તોફાનોની તપાસ કરતી સીટ દ્વારા ફાઇલ કરાયેલા રિપોર્ટની માગ કરતી ઝકિયા જાફરી અને જનસંઘર્ષ મંચની અરજી મામલે સોમવારે મેટ્રો કોર્ટમાં સુનાવણીની શક્યતા છે. સીટ દ્વારા રજૂ કરાયેલા આ રિપોર્ટમાં મુખ્યમંત્રી સહિત ૬૩ વ્યક્તિઓને ક્લીનચીટ અપાઈ હોવાનું ચર્ચાય છે ત્યારે ખરેખર તેમાં શું હકીકતો છે તે જાણવા માટે રિપોર્ટની માગ કરતી અરજી ઝકિયા જાફરી દ્વારા એડ્વોકેટ એસ.એમ. વોરા મારફતે કરાઈ છે.