સાદીક એન્કાઉન્ટરની તપાસ માટે સીબીઆઈ દુબઈ જશે
વધુ તપાસ માટે ત્રણ મહિનાનો સમય માગતી અરજી હાઇર્કોટમાં કરાઇ
શહેરના નરોડા ગેલેક્ષી સિનેમા પાસે થયેલ સાદીક જમાલ એન્કાઉન્ટર કેસની તપાસ દુબઇ સુધી લંબાઇ છે. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇએ શનિવારે ગુજરાત હાઇર્કોટના રજિસ્ટ્રી વિભાગમાં અરજી કરી તપાસ માટે વધુ ત્રણ મહિનાની મુદત માગી છે. સીબીઆઇએ અરજીમાં એમ પણ જણાવ્યું છે કે, સાદીક જમાલની તપાસ મામલે દુબઇ જવાનું હોવાથી વધુ સમયની જરૂર છે. આ અરજી પર આગામી અઠવાડિયામાં હાઇર્કોટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
શનિવારે સીબીઆઇના અધિકારીઓએ હાઇર્કોટમાં અરજી કરતા જણાવ્યું હતું કે, આ કેસની તપાસ હજુ લાંબી ચાલે તેમ છે, આ કેસના મોટા ભાગના સાક્ષીઓ તપાસમાં સહકાર આપી રહ્યા નથી, આ કેસમાં હજુ કેટલાય લોકોના નિવેદન નોંધવાના બાકી છે, જેથી તપાસ હજુ લંબાય તેવી શક્યતા છે. આ ઉપરાંત સાદીક જમાલ દુબઇ કામ માટે ગયો હતો તેથી આ કેસને લગતી કેટલીક મહત્વની કડી ત્યાંથી પણ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ કેસની તલસ્પર્શી તપાસ કરવા માટે વધુ ત્રણ મહિનાની મુદત જરૂરી છે.
ભાવનગરમાં રહેતા સાદીક જમાલ સામે દારૂ અને જુગારના કેસ થયા હતા. ત્યાર બાદ તે મુંબઇ ભાગી ગયો હતો. બાદમાં દુબઇમાં રહેતા દાઉદના ભાઇ અનીશ ઇબ્રાહિમના ખાસ માણસ તારીક પરવીન સાથે સંપર્ક થતા સાદીક નોકરી માટે દુબઇ જતો રહ્યો હતો અને ત્યાં ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો. પરંતુ એકાદ વર્ષમાં જ તે પરત મુંબઇ આવ્યો હતો અને તેનો સંપર્ક પત્રકાર કેતન તિરોડકર સાથે થયો હતો.
સાદીકે કેતન તિરોડકરને પોતાના કેસ વિશે જણાવી તેમાંથી છૂટવાનો રસ્તો બતાવવા જણાવતા કેતન તિરોડકરે તેને પોલીસ ઇન્સ્પેક્ટર દયા નાયક પાસે લઇ ગયા હતા. ગુજરાત પોલીસે ૧૧ જાન્યુ.૨૦૦૩ના રોજ મુંબઇથી સાદીકને ઉપાડી લાવી હતી અને નરોડા ગેલેક્ષી પાસે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું .






