ભારતનાં વિવિધ રાજ્યોમાંથી નોકરી અર્થે વિદેશોમાં જતાં કારીગરોને ગેરકાયદે સ્થળાંતર કરાવતા ટ્રાવેલ એજન્ટો, વચેટિયાઓ અને રિક્રુટિંગ એજન્ટો પર હવે તવાઈ આવશે. આ માટે કેન્દ્રએ લિગલ માઇગ્રેશનને પ્રોત્સાહન આપીને એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે, જેનો અમલ ગુજરાત સહિતના ૧૫ રાજ્યોમાં કરાશે.
વિદેશોમાં ખાસ કરીને અખાતી દેશો, આફ્રિકન કન્ટ્રી તેમજ કેનેડામાં જતાં કારીગરોને જે તે દેશના ઇમિગ્રેશન કાયદાઓ તેમજ લેબર કાયદાની જાણ હોતી નથી અને એકવાર વિદેશમાં ગયા પછી ગમે ત્યારે છટણી થાય ત્યારે તેઓને પોતાનાં હિતોનું નુકસાન થયું હોવાનું ભાન થાય છે. જો કે પાછળથી આવી સ્થિતિમાં રિક્રુટ એજન્ટ કે ટ્રાવેલ એજન્ટ મદદ કરી શકતા નથી. કેટલાક કિસ્સાઓમાં કારીગરોને જેલમાં પણ જવું પડે છે.
આવી સ્થિતિ નિવારવા માટે કાનૂની રાહે સ્થળાંતર (લિગલ માઇગ્રેશન) હિતાવહ હોવાનું કેન્દ્ર સરકાર માને છે.કેન્દ્ર સરકારના એક રિપોર્ટ પ્રમાણે ગેરકાયદે ગયેલા ૧૨૨૬ ભારતીયો સાઉદી અરેબિયામાં હાલની સ્થિતિએ જેલમાં કેદ છે. કુવૈતમાં આ સંખ્યા ૨૪૬ છે. એ ઉપરાંત કેનેડા અને બીજા અરબ કન્ટ્રીમાં આ હાલત છે. કેનેડાના મંત્રી જસન કેનીએ તાજેતરમાં કહ્યું હતું કે ગેરકાયદે સ્થળાંતર રોકવા ભારત સરકાર અમને સહકાર આપે. આવી ઘટનાઓ પછી કેન્દ્રએ ઇમિગ્રેશન મેનેજમેન્ટ બિલને બહાલી આપી છે.
કેન્દ્ર સરકારના મિનસ્ટિ્રી ઓફ ઓવરસીઝ ઇન્ડિયન એફેર્સ દ્વારા ગુજરાત સહિત ૧૫ રાજ્યોના ચીફ સેક્રેટરીઓને તાજેતરમાં પત્ર લખીને રાજ્યોમાંથી વિદેશમાં થતી ગેરકાયદે સ્થળાંતરની પ્રવૃત્તિને અટકાવવા માટે એક નોડલ ઓથોરિટી સ્થાપવાની તાકીદ કરી એક્શન ટેકન રિપોર્ટ મગાવવામાં આવ્યો છે.
આ એક્શન પ્લાન પ્રમાણે રાજ્ય સરકારે ઇન્સપેક્ટર જનરલ (આઇજી) ની રેન્કના પોલીસ અધિકારીના નેતૃત્વમાં એક નોડલ ઓથોરિટી સ્થાપવાની રહેશે. આ અધિકારી સાથે કેન્દ્રના મંત્રાલયના નોડલ અધિકારી સંકલનમાં રહીને સમગ્ર એક્શન પ્લાનને આગળ ધપાવશે.
લેભાગુ એજન્ટો, દલાલોને શોધવા અભિયાન
વિદેશમાં ગેરકાયદે સ્થળાંતર કરાવતા લેભાગુ દલાલો, ટ્રાવેલ એજન્ટો અને વચેટિયાઓને શોધી કાઢવા રાજ્ય સરકારે અભિયાન ચલાવવું પડશે. ઉપરાંત જનજાગૃતિ માટે પણ અભિયાન પણ ચલાવી વિદેશોમાં થતાં ગેરકાયદે સ્થળાંતર અને કાનૂની દ્રષ્ટિએ થતાં સ્થળાંતરના લાભાલાભ અંગે કામદાર વર્ગને માહિતી આપવાની રહેશે.
બેઠકમાં અમિતાભ પાઠક હતા
કેન્દ્ર સરકારે ગેરકાયદે સ્થળાંતર વિષયના સંદર્ભમાં નવી દિલ્હીમાં બે વખત બેઠકો યોજી હતી, જેમાં અમદાવાદના પોલીસ કમિશનર અમિતાભ પાઠકે હાજરી આપી હતી. તેમણે પણ આ વિષયે કેન્દ્રને સૂચનો કર્યા હતાં. પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો.
વિસ્તારોની ઓળખ કરવી પડશે
રાજ્ય સરકારે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ગેરકાયદે સ્થળાંતર થતાં હોય તેવા વિસ્તારો અલગથી ઓળખી કાઢીને તેની ઉપર નોડલ ઓથોરિટીની મદદથી નજર રાખવાની રહેશે અને તેને અટકાવવાનું રહેશે. રાજ્ય સરકારે તેના હસ્તકના એરપોર્ટ ઉપર પણ તકેદારીનાં પગલાં લેવાની વ્યવસ્થા કરવી પડશે.