ખોટી માહિતીથી પેસેન્જરને ફ્લાઈટમાંથી ઓફ લોડ કરાયા
- અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં બનેલો બનાવ
- તપાસમાં તમામ દસ્તાવેજો સાચા હોવાનું પુરવાર થયું પરંતુ ફ્લાઈટ ઊડી ગઈ
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વ્યકિત ખોટા નામ અને દસ્તાવેજના આધારે દુબઈ જઇ રહી હોવા અંગે એક વ્યકિતએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.જેના આધારે સરદારનગર પોલીસ તેમજ એરપોર્ટ ઇમિગ્રેશનના અધિકારીઓએ તે વ્યકિતને ફલાઈટમાંથી ઓફ લોડ(ઉતારી દઇ) દુબઈ જતા અટકાવી દીધા હતા.જોકે પોલીસે ખરાઇ કરતા તે વ્યકિતનું નામ અને તેની પાસેના દસ્તાવેજો સાચા જ હોવાનું માલુમ પડયું હતું પરંતુ આ પ્રક્રિયા પૂરી થઇ ત્યાર સુધીમાં તેમની ફલાઈટ જતી રહી હોવાથી પેસેન્જરને તેમજ તંત્રને હેરાનગતિ વેઠવી પડી હતી. પોલીસે ખોટી માહિતી આપનાર વ્યકિતની શોધખોળ શરૂ કરી છે.
શહેર પોલીસ કંટ્રોલ રૂમ ઉપર સોમવારે રાતે ૯.૦પ વાગ્યે મોબાઈલ નંબર(૮૪૬૦૮૧પ૮૭૯)પરથી કલ્પેશ ઓઝા નામના માણસે ફોન કરી કહ્યું હતું કે રાતે ૧૦ વાગ્યે અમદાવાદથી દુબઈ જતી ફલાઈટમાં સાબરકાંઠાના દંતોડ ગામના રહેવાસી જીવાજી નાનજીભાઇ પટેલ નામ બદલીને જયંતી નાનજીભાઇ પટેલના નામથી દુબઈ જઇ રહ્યા છે.જેથી સરદારનગર પીઆઈ વી.એસ.સરવૈયાએ સ્ટાફ સાથે એરપોર્ટ ઉપર પહોંચી ઈમિગ્રેશનના અધિકારીઓને જાણ કરી હતી.
જોકે ત્યાંસુધીમાં જીવાજી પટેલ ઈમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કરીને ફલાઈટમાં બેસી ગયા હતા.જેથી તેમને ફલાઈટમાંથી ઉતારવામાં આવ્યા હતા અને તેમની પાસે સ્કૂલ લિવિંગ સર્ટિ,જન્મનો દાખલો સહિતના અસલ દસ્તાવેજો મંગાવ્યા હતા.જેથી જીવાજીએ તમામ અસલ દસ્તાવેજો રજૂ કર્યા હતા,જે તમામ અસલી હતાં. પરંતુ ત્યાર સુધીમાં તેમની ફલાઈટ રવાના થઇ ગઇ હોવાથી તેઓ દુબઇ જઇ શકયા ન હતા.
અંગત અદાવત પાર પાડવા લોકો હેરાન કરે છે :
જીવાજી ને દુબઈ જતા અટકાવવા પાછળ અંગત અદાવત કારણભૂત હોવાનું પોલીસ માની રહી છે. એરપોર્ટ કંટ્રોલ રૂમ અથવા તો પોલીસ કંટ્રોલ રૂમમાં આ રીતે ખોટી માહિતી આપનાર વ્યકિતઓ મોટા ભાગે અંગત અદાવત પાર પાડવા જ આમ કરતા હોવાનું પણ પોલીસ માની રહી છે.
ફોન કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધાશે :
પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પેસેન્જર વિશે ખોટી માહિતી આપનાર વ્યકિતના મોબાઈલના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી છે. તેની વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરાશે. - વી. એસ. સરવૈયા, પીઆઈ સરદારનગર






