નરોડા પાટિયાકાંડઃ તપાસના આટાપાટા, ચુકાદાના સન્નાટા

નરોડા પાટિયા હત્યાકાંડ એક કાવતરું કઈ રીતે સાબિત થયું
૨૦૦૨નાં ગોધરાકાંડનાં ભીષણ તોફાનો વખતે ઠેરઠેર થયેલી નરસંહારની ઘટનાઓમાં નરોડા પાટિયાકાંડ સૌથી મોટી ઘટના હતી. ૯૭ વ્યક્તિઓનો ભોગ લેનારી આ ઘટનાની વિવિધ સ્તરે ચાલેલી ૪૦૨ દિવસની સઘન-સખત તપાસની બાબત પણ પોતાની રીતે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બની રહી. કોર્ટે આ ઘટનાને પૂર્વઆયોજિત કાવતરું ઠેરવતાં આ ચુકાદાનું કાનૂની મહત્ત્વ પણ વધી ગયું છે.
માયાબહેન, બાબુ બજરંગીની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી થઇ હતી
આ કેસમાં વર્ષ ૨૦૧૧ એસઆઇટીએ વિવિધ મુદ્દે અવાજના સેમ્પલ લેવા માટે સ્પે. કોર્ટમાં અરજી કરી હતી. જેથી સ્પે. કોર્ટે પરવાનગી આપતા માયાબહેન કોડનાની, બાબુ બજરંગી, સુરેશ લંગડો અને પ્રકાશ છારાની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં વોઇસ સેમ્પલ પણ મળતા આવ્યા હતા. આ કેસમાં જે એક મહત્ત્વનો પુરાવો સાબિત થયો છે
ફરિયાદીએ અટક બદલી કાઢી
નરોડા પાટિયા કેસમાં ફરિયાદી પીએસઆઇ વી.કે.સોલંકી બન્યા હતા. જો કે, કોર્ટમાં જુબાની દરમિયાન આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. ત્યારે ફરિયાદીએ જુબાની દરમિયાન નામ પૂછતા વી.કે. સોલંકીની જગ્યાએ વી.કે. દેલવાડિયા કહ્યું હતું. આમ ફરિયાદીએ આ કેસ દરમિયાન અટક બદલી કાઢી હોવાની ચોંકાવનારી વિગતનો ઘટસ્ફોટ થયો હતો.
CBIના અધિકારીની જુબાની થઇ
પત્રકાર આશિષ ખેતાન દ્વારા કરાયેલા સ્ટિંગ ઓપરેશનની ૧પ ડીવીડી બનાવી હતી. જે એક ખાનગી ચેનલમાં પ્રસારિત થતા નેશનલ હ્યુમન રાઇટસ કમિશન દ્વારા સીબીઆઇને તપાસ સોંપાઈ હતી. જેમાં સીબીઆઇના મુંબઇ ખાતેના અધિકારી નિર્મળસિંહ સેવાસિંહ રાજુએ તપાસ કરી આખુય સ્ટિંગ ઓપરેશન યોગ્ય હોવાનું તારણ અંગે જુબાની કોર્ટ સમક્ષ આપી હતી. આ કેસમાં સીબીઆઇના અધિકારીએ જુબાની આપી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
સીટે અધિકારીઓને ન તપાસ્યા
આર.કે.રાઘવન, વી.કે.મલ્હોત્રા, આશિષ ભાટિયા, હિમાંશુ શુક્લ સહિતના આઇપીએસ અધિકારીઓની દોરવણીથી તપાસ થઇ હતી. પરંતુ તેમની જુબાની થઇ જ નથી. બીજી તરફ પી.બી.ગોંદિયા, એમ.કે.ટંડન, કે.કે.મહેસૂરવાલા અને એસઆરપીના અધિકારી દાતણિયા સામે સાક્ષીઓ દ્વારા કોર્ટ સમક્ષ આક્ષેપો કરાયા હતા. સાક્ષી તરીકે આ જ અધિકારીઓના નિવેદન નોંધ્યા હતા. જો કે, જુબાની દરમિયાન તેમને સીટ દ્વારા તપાસવામાં આવ્યા ન હતા.
મૃત્યુઆંક ૯૭, ૯૪ મૃતદેહ મળ્યા, ૩ ગુમ, ૮૪નાં પીએમ થયાં હતાં
કોઇ પણ ગુનામાં લાશ ન મળે તો કોપર્સ ડેલેકી (ઘટના બાદ શબ ન મળવુ અથવા શબનું પીએમ ન થયેલું હોવું) સિદ્ધાંત પ્રમાણે આરોપીઓએ ભલે હત્યા કરી હોય પરંતુ શબ ન મળે તો પણ તેમની સામે ગુનો તો બને છે. તે જ પ્રમાણે આ કેસમાં કુલ ૯૭ લોકોના મોત થયા હતા જેમાંથી ૯૪ લોકોના મૃતદેહો મળ્યા હતા. જ્યારે ત્રણ લોકો ગુમ છે અને આ કેસમાં ૮૪ લોકોના પીએમ (પોસ્ટ ર્મોટમ) કરવામાં આવ્યા છે. જેથી ભલે ૮૪ના જ પોસ્ટ ર્મોટમ થયા હોય પરંતુ મૃત્યુ તો ૯૭ લોકોના મોતના ગુના માટે આરોપીઓને દોષિત ગણવાની માગ ફરિયાદી તરફે કરવામાં આવી હતી.
ગુનાઇત કાવતરું કઇ રીતે?
તોફાની ટોળાં ત્રિશૂલ, તલવાર, ચપ્પા જેવા ખતરનાક હથિયારથી સજ્જ હતા. તેમની પાસે પેટ્રોલ અને કેરોસીન ભરેલા કેરબા હતા. પોલીસને આવતા રોકવા માટે તોફાનીઓએ અવરોધો ઊભા કર્યાં હતાં. ટોળા પાસે હથિયારો ઉપરાંત દારૂ, પાણી અને ચવાણું પણ હતું.
ડો.જ્યોત્સનાબહેન યાજ્ઞિક નાણાવટી કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હતાં
નરોડા-પાટિયા કેસનો ચુકાદો આપનારા સ્પે. જજ ડો.જ્યોત્સનાબહેન યાજ્ઞિક આઇ.એમ.નાણાવટી કોલેજમાં પહેલાં પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં હતાં. ત્યાર બાદ તેઓ ત્યાં પ્રોફેસર થયાં અને પછી તેઓ ત્યાં જ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રહ્યાં હતાં. બાદમાં તેમણે વકીલની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને પછી એડિશનલ સેશન્સ જજ તરીકે કોર્ટમાં ફરજ બજાવાની શરૂ કરી હતી. તેમણે બીજલ જોષી કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આ ઉપરાંત તેમણે પોટા જજ તરીકે ફરજ બજાવી હતી અને હાલ તેઓ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પણ સ્પે. જજ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.






