વસ્ત્રાપુર રેસિડન્ટ એસોસિએશનની અરજીને પગલે આખરે કલેક્ટરે આલ્ફ વન મોલમાં આવેલા સિનેપોલીસ મલ્ટિપ્લેક્સનું લાઈસન્સ એક મહિના માટે રદ કર્યું છે.
૧પમી નવેમ્બર ૨૦૧૧ના રોજ સિનેપોલીસ મલ્ટિપ્લેક્સને લાઈસન્સ ઇશ્યુ કરાયું હતું. ૧૯મી ડિસેમ્બર ૨૦૧૧ના રોજ એસોસિએશને કલેક્ટરને સિનેપોલીસ મલ્ટિપ્લેક્સનું લાઈસન્સ રદ કરવા અરજી કરી કારણકે મલ્ટિપ્લેક્સમાં નિયમોનો ભંગ કરીને મોડી રાત સુધી શો ચલાવવામાં આવતા હતા જેથી આસપાસના રહીશોને તકલીફ પડતી હતી. જેમાં સિનેમા લાઈસન્સની શરત નંબર ૨૨નો ભંગ થતો હતો અને રાત્રે ૨ વાગ્યાથી વધુ સમય સુધી શો ચાલતા હોવાથી સમસ્યા સર્જાતી હતી. આ સ્થિતિમાં એસોસિએશને શરત ભંગ કરી રહેલાં મલ્ટિપ્લેક્સનું લાઈસન્સ રદ કરવા અરજી કરી હતી.
એક મહિના સુધી કોઇ હિલચાલ ન થતાં તેમણે ગાંધીનગર માહિતી પ્રસારણ વિભાગ સચિવને પણ આ અંગે અરજી કરી જાણ કરી હતી. આ અરજીઓને આધારે અધિકારીઓએ જાત તપાસ કરતાં મોડે સુધી શો ચાલુ રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. આ પગલે કારણદર્શક નોટિસ પણ સિનેપોલીસ મલ્ટિપ્લેક્સના અધિકારીઓને મોકલાઇ હતી. ધંધાકીય પ્રતિસ્પર્ધાને કારણે થયેલી સરતચૂક મેનેજરે કબૂલતાં અને જરૂરી રજૂઆત કર્યા આજે આ મુદ્દે કલેક્ટરની હાજરીમાં સુનાવણી થતાં કલેક્ટરે એક મહિના સુધી સિનેપોલીસ મલ્ટિપ્લેક્સના લાઈસન્સને રદ કરવાનો ચુકાદો આપ્યો હતો.
કલેક્ટરે ઇશ્યુ કરેલા હુકમ મુજબ સિનેપોલીસનો શરતભંગ લાઈસન્સ સંપૂર્ણ રદ કરવા પાત્ર છે પણ સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા માગે છે તેથી લાઈસન્સ માત્ર એક જ મહિના સુધી રદ કરાશે. આ નિર્ણયને પગલે તરત અસરથી ૨જી માર્ચ ૨૦૧૨ સુધી સિનેપોલીસ મલ્ટિપ્લેક્સનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે.