મોદીનું ધાર્યું થતા કેશુભાઈ માટે 'ન સહેવાય, ન કહેવાય’ જેવી સ્થિતિ

નરેન્દ્ર મોદી ભાજપના હાઈકમાન્ડ પાસે પોતાનું ધાર્યું કરાવવામાં સફળ રહ્યા છે. આથી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ માટે હવે કપરા ચઢાણ છે.
હવે શું ?
ભાજપ-એનડીએમાં મોદીના મુદ્દે નવી ધરી રચાશે
કેશુભાઈ પાસે ગણતરીના વિકલ્પો બચે છે. જેમાં મજપા કે અન્ય રાજકીય પક્ષનું શરણું લેવું. જો તેઓ બીજા પક્ષમાં જાય તો તેમની હાલત સુરેશ મહેતા, ગોરધન ઝડફિયા જેવી થાય. પક્ષ છોડયા પછી સમગ્ર પટેલ સમાજ પણ બાપાની પડખે ઉભો રહે તેવું માનવું ભૂલ ભરેલું છે. પરંતુ પક્ષમાં રહીને મોદી સામે મોં બંધ રાખી 'ન સહેવાય, ન કહેવાય’ જેવી સ્થિતિ કેશુભાઈ પટેલ અને તેમનું જૂથ ક્યાં સુધી સહન કરે તે પણ એક સવાલ છે.
મોદી રાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચ નેતા તરીકે ઉપસ્યા છે ?
મોદીની ધમકીને વશ થઈને જોષીનું રાજીનામું લઈ લેવાની ઘટનાથી રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્ર મોદીના રાજકીય કદમાં વધારો થયો છે. જો કે,વડાપ્રધાનપદના સર્વસંમત ઉમેદવારમાં સુષ્માના માર્ગમાં મોદી મુખ્ય પ્રતિસ્પર્ધી બની શકે છે. રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા અરૂણ જેટલી સાથેના મોદીના સંબંધો હવે પહેલાં જેવા મધુર રહ્યા નથી. આ સંજોગોમાં તેઓ પણ મોદીનું કદ વધે તેવું ઈચ્છતા નથી. આ સિવાય રાજનાથસિંહ, યશવંત સિંહા, રવિશંકર પ્રસાદ, શત્રુઘ્ન સિંહા જેવા નેતાઓ મોદી સાથે જરૂર પુરતાં સંબંધો રાખતા હોવાથી તેમનું વલણ કેવું રહેશે તે જોવાનું રહે છે.
એનડીએમાં નવા સમીકરણો રચાવાની શક્યતા
એઆઈડીએમકેના સુપ્રીમો અને તામીલનાડુના મુખ્યમંત્રી જયલલીતા તથા પંજાબના અકાલીદળના નેતાઓને મનાવવામાં સફળ રહેલાં મોદી જનતાદળના બે મુખ્ય નેતાઓ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને શરદ યાદવનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. ચંદ્રાબાબુ નાયડુ, નવીન પટનાયક, પણ મોદીથી સલામત અંતર રાખે છે. આજના ઘટનાક્રમથી મોદીની વધેલી તાકાતને જોઇને એનડીએમાં પણ નવા સમીકરણો રચાય તો નવાઈ નહીં.






