રાજકીય દખલગીરી અને ઉપરી અધિકારીઓના દબાણ વિશે પ્રશ્નો પુછાયાબે દિવસ બાદ ઓ.પી. માથુર સાથે ફરી પૂછપરછની સંભાવના
સીબીઆઈએ રાજકોટના પોલીસ કમિશનર ગીથા જોહરીની ગુરુવારે બે તબક્કામાં ૮ કલાકની આકરી પૂછપરછ કરી હતી. જોહરી સોહરાબુદ્દીન કેસના સુપરવાઈઝિંગ અધિકારી હોવાથી તેમને ગુમ થયેલા દસ્તાવેજો, રાજકીય દખલગીરી અને ઉપરી અધિકારીઓના દબાણ વિષે સંખ્યાબંધ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. જો કે પૂછપરછમાં જોહરીએ ખાસ સહકાર આપ્યો ન હતો.
સીઆરપીસી ૧૬૧ મુજબ તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. સવારે ૧૦.૨૫ વાગ્યે સીબીઆઈની કચેરીએ આવી પહોંચેલાં જોહરીને સાંજના ૭ વાગ્યે જવા દેવામાં આવ્યાં હતાં. બીજી તરફ જોહરીએ સીબીઆઇ દ્વારા તેમની કનડગત કરાતી હોવાનો મુદ્દો ઊભો કરીને સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. નોંધનીય છે કે ગીથા જોહરીની પૂછપરછ દરમિયાન સીબીઆઈના મહિલા અધિકારીને ઉપસ્થિત રાખવામાં આવ્યાં હતાં.
સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે બે દિવસ બાદ ફરી ગીથા જોહરીને પૂછપરછમાં બોલાવાય તેવી સંભાવના છે. તે વખતે સીઆઈડી ક્રાઈમના તત્કાલીન એડિશનલ ડીજી ઓ પી માથુરને પણ સાથે રાખીને પૂછપરછ કરવાનો વ્યૂહ સીબીઆઈ દ્વારા ઘડાઈ રહ્યો છે કે જેથી કરીને બંનેના આક્ષેપોને સામસામે રાખીને ક્રોસચેક કરી શકાય.
ઉલ્લેખનીય છે કે માથુરે તપાસ આડાપાટે ચઢાવી હોવાનો દોષનો ટોપલો ગીથા જોહરીના માથે ઢોળી દીધો હતો. જો કે ગુરુવારની પૂછપરછમાં ગીથા જોહરીએ તમામ આક્ષેપોને નકારી કાઢયા હતા. કેટલાક પ્રશ્નોના જવાબમાં તેમણે તપાસનીશ અધિકારીને પૂછો તેમ પણ કહ્યું હોવાનું બહાર આવ્યું છે.
જોહરીને અમિત શાહ વિશે પણ પ્રશ્નો પૂછાયા
જોહરીને ગુમ થયેલી કોલ ડિટેઈલની સીડી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તે સીડી માથુરને મોકલી દેવાઈ હોવાની વાત કહી હતી. જો કે તેની ખાતરી કરવા માટે માથુરને સીબીઆઈ ફરી સમન્સ પાઠવી પૂછપરછ કરે તેવી પ્રબળ સંભાવના છે. ગીથા જોહરીને અમિત શાહ, પી. સી. પાંડે, જી સી રાયગર અને તેમની વચ્ચે થયેલી મિટિંગ, કે જેમાં અમિત શાહે તપાસને આડે પાટે ચઢાવવા સૂચનાઓ આપી હોવાનો આક્ષેપ છે, તે અંગે પણ વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી હતી.
જોહરી એક કલાક સુધી સીટની ઓફિસમાં બેસી રહ્યાં..
સીબીઆઈ કચેરીમાંથી બહાર નીકળ્યા બાદ પત્રકારોથી બચવા માટે ગીથા જોહરી લગભગ એક કલાક સુધી એસ આઈ ટીની કચેરીમાં, પ્રથમ આશિષ ભાટિયા સાથે અને ત્યારબાદ એકલા બેસી રહ્યાં હતાં. જો કે પત્રકારો ત્યાં જ રહેતા આખરે રાતના ૮ વાગ્યે તેમને બહાર નીકળવાની ફરજ પડી હતી. ગીથા જોહરી નીચે આવ્યાં હતાં અને પત્રકારોને થેંક યૂ કહીને પોતાની સરકારી કારમાં બેસીને રવાના થઈ ગયાં હતાં.
બપોરે એક કલાક એસ આઈ ટીની ઓફિસમાં ભોજન લીધું..
બપારે ૨ વાગ્યે ગીથા જોહરી સીબીઆઈની ઓફિસની બરાબર નીચે આવેલી એસ આઈ ટી ઓફિસમાં આવ્યાં હતાં. તેમણે લગભગ એકાદ કલાક સુધી ભોજન લીધું હતું અને ત્યારબાદ ત્રણેક વાગ્યે તેઓ પરત સીબીઆઈની ઓફિસમાં પૂછપરછ માટે જતાં રહ્યાં હતાં.