શાહની જેલમાંથી મુક્તિ પર ગ્રહણ લાગ્યું હોય તેમ ગુરુવારે સુનાવણી હાથ ન ધરાઈજજ રજા પર હોવાથી બંને પક્ષના વકીલોએ મળીને સુનાવણીની ૧૬મી તારીખ નક્કી કરી
પૂર્વ કાયદા તથા ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની જેલમાંથી મુક્તિ પર ગ્રહણ લાગ્યુ હોય તેમ જામીન અરજીની સુનાવણીમાં તારીખ પર તારીખ પડી રહી છે. શાહના જામીન અરજીની સુનાવણીમાં અગાઉ બંને પક્ષના સિનિયર વકીલો હાજર ન રહેતાં ત્રણ વખત મુદ્દત પડી હતી.
જ્યારે ગુરુવારે બંને પક્ષના વકીલો હાજર હતા પરંતુ સીબીઆઇ સેશન્સ જજ પી.પી. ભટ્ટ નાદુરસ્ત તબિયતના કારણે રજા પર હોવાથી સુનાવણી હાથ ધરી શકાઈ નહોતી. આથી બન્ને પક્ષે વકીલોએ મળીને જામીન અરજીની સુનાવણી માટે ૧૬મી સપ્ટેમ્બર નક્કી કરી હતી. આમ શાહનો જેલવાસ ફરી એક અઠવાડિયું લંબાઈ ગયો છે.
દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં તપાસ કરી રહેલી સીબીઆઇએ ગુજરાતના માજી ગૃહ તથા કાયદા રાજ્યમંત્રી અમિત શાહની ધરપકડ કરી હતી. તેમને કોર્ટના આદેશથી તપાસ માટે સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે. ધરપકડ બાદ અમિત શાહે જામીન માટે અરજી કરી હતી.
જેની સુનાવણીમાં શાહ પક્ષે સિનિયર કાઉન્સેલ રામ જેઠમલાણી તથા સીબીઆઇ પક્ષે વરીષ્ઠ ધારાશાસ્ત્રી કે. ટી. એસ. તુલસી હાજર ન રહી શકતા ત્રણ વખત મુદ્દતો પડી હતી. જો કે ગુરુવારે હાથ ધરાનાર સુનાવણી વખતે બંને પક્ષના સિનિયર કાઉન્સેલો હાજર રહ્યા હતા.
પરંતુ સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ જજ પી.પી. ભટ્ટની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ રજા પર હોવાથી સુનાવણી હાથ ધરી શકાઈ નહોતી. છેવટે બંને પક્ષના વકીલોએ સાથે મળીને શાહની જામીન અરજીની સુનાવણી માટે ૧૬મી સપ્ટેમ્બરની મુદ્દત નિધૉરિત કરી હતી.