- એક જ સ્થળે ૨૦,૪૮૦ ખેલાડીઓએ ચેસ રમી ગિનીસ બુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં સ્થાન મેળવ્યું
- ૧૪૦ પ્રજ્ઞાચક્ષુ પણ શતરંજના ખેલાડી બન્યા
- બોલિવૂડ અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી પણ ચેસ રમ્યા
- ૩ લાખ ચોરસ ફૂટ મેદાનના ચેસબોર્ડ જેવા એરિયલ વ્યૂએ આકર્ષણ જમાવ્યું
અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે શુક્રવારે ગુજરાત રાજ્યે વધુ એક વિશ્વવિક્રમ સર્જ્યો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદની ઉપસ્થિતિમાં એક જ સ્થળે ૨૦,૪૮૦ ખેલાડીએ શતરંજ રમીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન મેળવી મેક્સિકોને ‘ચેકમેટ’ આપ્યો છે.
૩ લાખ ચોરસ ફુટના મેદાનમાં ચેસબોર્ડના આકારમાં ટેબલ્સ ગોઠવીને વિશાળ ચેસબોર્ડના એરિયલ વ્યૂએ અનોખું આકર્ષણ જણાવ્યું હતું. ‘સ્વર્ણિમ ચેસ મહોત્સવ-૨૦૧૦’ના સમાપન સમારોહમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સમાપન સમારોહમાં ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝના પ્રતિનિધિ નિરીક્ષક તારીકા વારાએ આ વિશ્વવિક્રમનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ ભાગ્યેશ જહાને આપતાં ગિનેસમાં ભારતના અત્યાર સુધીના ૨૯૯ વિક્રમનો આંકડો ૩૦૦ સુધી પહોંચાડવાનું શ્રેય ગુજરાતને પ્રાપ્ત થયું હતું.
આ પ્રસંગે સ્વર્ણિમ ચેસ મહોત્સવની સફળતા અંગે તમામ ખેલાડીઓ, પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ અને માસ્ટર્સને અભિનંદન આપતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘મેક્સિકોએ જ્યારે એક્સાથે ૧૩,૪૪૬ ખેલાડી સાથે શતરંજના ખેલનો વિક્રમ સર્જ્યો હતો ત્યારે તેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ નહોતાં તેમ મને ગિનીસ રેકોર્ડ્ઝની ઓફિસમાંથી જણાવાયું હતું.
મને ગર્વ છે કે આપણા મહોત્સવમાં ૧૪૦ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી હતા અને તેમને તાલીમ આપનારી સંસ્થાઓને હું અભિનંદન આપું છું.’ તેમણે ઉમેર્યું કે, ‘સ્વર્ણિમ જયંતી વર્ષમાં અમદાવાદ શહેરે સૌથી વધુ વૃક્ષારોપણ કરી પાકિસ્તાનનો વિક્રમ તોડ્યો છે. આ સાથે ૫૬૦૦ શાકાહારી વાનગીઓનો ભોગ સંપુટ, ખેલ મહાકુંભ, વાંચે ગુજરાતમાં ૫૦ લાખ લોકોનું એક જ સમયે એક કલાક માટેનું વાંચન, તાના-રિરિ મહોત્સવમાં ૯૯ કલાક ગાયન જેવા વિશ્વવિક્રમો સ્થાપી નવાં સીમાચિહ્નો સ્થાપ્યાં છે.’
શતરંજની રમત ધૈર્ય આપે છે અને માટે જ દરેક ઘરમાં આ ખેલ પ્રચલિત થવો જોઈએ તેમ ટિપ્પણી કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘ચેસનો ખેલાડી ક્યારેય ઉતાવળે નિર્ણય નથી લેતો અને માટે જ આ ખેલને પ્રચલિત કરવાની તો આ હજી શરૂઆત છે. ૨૦૦૩માં વિશ્વનાથન આનંદ ૨૪ ડિસેમ્બરે જ વિશ્વ ચેમ્પિયન બન્યા હતા અને આજે તેમની હાજરીમાં ગુજરાતે વિક્રમ સ્થાપ્યો છે ત્યારે હું ઇચ્છું છું કે આપણા રાજ્યમાં પણ વિશી બને અને એક લાખ ખેલાડી આ ખેલમાં કાઠું કાઢે.’
ચેસ ચેમ્પિયન વિશ્વનાથન્ આનંદે પોતે આ ઐતિહાસિક રોમાંચક ઘટનાના સાક્ષી બન્યા તે બદલ ગર્વ અનુભવે છે તેમ જણાવ્યું હતું. જ્યારે ગિનીસ બુકના તારિકા વારાએ એક જ સમયે ૨૦,૪૮૦ ખેલાડીનું ચેસ રમવું ખરેખર એક મોટી સિદ્ધિ છે તેમ કહી વ્યવસ્થાની પ્રસંશા કરી હતી.
યુવક સેવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી ફકીરભાઈ વાઘેલાએ પ્રાસંગિક પ્રવચન આપતાં કહ્યું કે, ‘ચેસ માનસિક સજ્જતાની રમત છે અને તેમાં ગુજરાતના યુવાનો કૌશલ્ય કેળવે તે માટે જ આ મહોત્સવ યોજવામાં આવ્યો હતો.’
આ સમારોહમાં રાજ્યના મંત્રીઓ, મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલ, શિક્ષણ મંત્રી રમણલાલ વોરા, એનઆઇઆઇટીના અધ્યક્ષ રાજેન્દ્રર પવાર, મુખ્ય સચિવ એ.કે. જોતી, મેયર આસિત વોરા સહિત બોલીવૂડના જાણીતા અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી પણ હાજર રહ્યા હતા.