ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર વાઇબ્રન્ટ સમીટ પછી

- પ્રથમ સત્ર મળે તે તારીખથી સરકારના શાસનના પાંચ વર્ષ ગણાય
રાજ્ય વિધાનસભાની ચૂંટણી બાદ ૧૧પ બેઠકો મેળવીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર શાસનમાં આવી ગઈ છે.મોદી ઉપરાંત અન્ય ૧૬ મંત્રીઓએ પણ શપથ લઈને પોતાની કામગીરી આરંભી દીધી છે પરંતુ ધારાસભ્યોની કામગીરી,તેમના પગાર-ભથ્થાં તો વિધાનસભાના પ્રથમ સત્ર દરમ્યાન અધ્યક્ષ દ્વારા શપથ ગ્રહણ કરાવ્યા બાદ જ શરુ થશે.
અગાઉ ૨૯મી,ડિસેમ્બર-૨૦૧૨માં મોદીના અધ્યક્ષ સ્થાને મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજાઈ હતી ત્યારે જ તેમાં વિધાનસભાના ટૂંકા બે દિવસિય સત્ર માટે તારીખ નક્કી કરાશે એમ મનાતું હતું પરંતુ રાજ્ય સરકાર માટે ૧૧મી જાન્યુઆરી-૨૦૧૩થી ત્રણ દિવસ માટે શરુ થતાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટના આયોજન અને પૂર્ર્વતૈયારીઓ અગ્ર સ્થાને હોવાથી વિધાનસભાના પ્રથમ સત્રની કાર્યવાહી હવે આ સમિટ બાદ હાથ ધરાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
હાલને તબક્કે એમ મનાય છે કે,૧૩મીએ સમિટની પૂર્ણાહૂતિ બાદ ૧૪મી આંતરરાષ્ટ્રિય પતંગોત્સવ અને ઉતરાયણની ઉજવણી બાદ અર્થાત ૨૧મી પછી વિધાનસભાના સત્રની શક્યતા છે.
પ્રથમ સત્રનું મહત્ત્વ શું છે ?
વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓ હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા પછી વિધાનસભાનું પ્રથમ સત્ર ઝડપભેર બોલાવવું જરુરી હોય છે કેમકે,આ સત્રમાં વિધાનસભાના અધ્યક્ષની વરણી થાય છે તથા તેઓ તમામ ધારાસભ્યોને ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરાવે છે.
શપથ બાદ જ પગાર-ભથ્થાં :
ધારાસભ્યો જ્યારે વિધાનસભામાં શપથ ગ્રહણ કરે છે ત્યારબાદ જ તેમને મળવાપાત્રા પગાર અને ભથ્થા શરુ થાય છે.
સત્રના પ્રથમ દિવસથી સરકારના પાંચ વર્ષ ગણાય :
ગત રાજ્ય સરકારની મુદ્દત ૧૭મી, જાન્યુઆરી-૨૦૧૩ સુધીની હતી અર્થાત ગત વિધાનસભાનું પ્રથમ સત્ર આ તારીખે મળ્યું હતું.આ વખતે પણ વિધાનસભાનું પ્રથમ સત્ર જે તારીખે મળશે તે તારીખથી પાંચ વર્ષ સુધી સરકાર શાસન કરી શકશે.
પહેલી જાણ ગવર્નરને કરાશે :
રાજ્ય વિધાનસભાનું સત્ર જ્યારે પણ બોલાવવાનું સરકાર નક્કી કરશે ત્યારે સૌપ્રથમ તેની જાણે રાજ્યપાલને કરશે અને તેઓ સત્ર માટેનું આહ્વાન કરશે.






