પંક્તિઓ હવામાં છે, એકદમ મજામાં છે... જેવી સુંદર પંક્તિઓ જે ગ્રંથમાં અંકિત થયેલી છે, તેવા ‘ખારા ઝરણ’ નામના ચીનુ મોદીના ગઝલ સંગ્રહનું વિમોચન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં જાણીતા કવિ રાજેન્દ્રર શુક્લના હસ્તે થયું હતું.
આ પ્રસંગે ગઝલોની વાત જ નહીં પણ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગનાં હેડ રંજના હરિશ અને જાણીતા ગાયક અમર ભટ્ટ દ્વારા આ ગઝલોને સ્વર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કવિ રાજેન્દ્રર શુક્લએ કહ્યું હતું કે, ચીનુ મોદીની દરેક ગઝલ જુદી જ હોય છે અને એટલે જ એ સાચા ગઝલકાર છે. ૭૦ વર્ષના ચીનુભાઈએ પોતાની ઉંમર જેટલી જ ગઝલો આ સંગ્રહમાં લખી છે.
પોતાના પ્રતિભાવમાં ચીનુ મોદીએ જણાવ્યું હતું કે, આ ગઝલો મિત્રો જે મારા અવસાન પામ્યા છે તેમણે અર્પણ કરૂં છું. તે દરેકની સ્મૃતિઓને મેં ગઝલરૂપે આપી છે. આમ કહી ગઝલનો શેર કહ્યો હતો...
‘કોઈ પણ ઇચ્છાનું મને વળગણ ના હો,એ જ ઇચ્છા છે હવે એ પણ ના હો...