આંતરિક સલામતી,આતંકવાદ અને નકસલવાદ અંગે વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અને કેન્દ્રીય ગૃહ મંત્રી પી.ચિદમ્બરમ સંબોધન કરશે. ગુજરાતમાં વય નિવૃત્ત થઇ રહેલા રાજ્ય પોલીસ વડા એસ.એસ.ખંડવાવાલાને નવી દિલ્હીનું તેડું આવ્યું છે. આજે મંગળવારે સાંજે દિલ્હી જવા રવાના થઇ ગયા છે. તેમનું આ રોકાણ ત્રણ દિવસ માટેનું છે. જો તેમને ત્રણ કે છ મહિના સુધીનું એક્સટેન્શન નહીં મળે તો તેમની સરકારી બેઠક છેલ્લી હશે.
૨૫મી ઓગષ્ટથી શરૂ થઇ રહેલી પોલીસ વડાઓની કોન્ફરન્સમાં આંતરિક સલામતી, આતંકવાદ અને નકસલવાદ અંગેની ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવશે. ભારતના વડાપ્રધાન ડો.મનમોહનસિંહ પહેલા દિવસે સંબોધન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી પી.ચિદમ્બરમ ઉપસ્થિત રહેશે.
સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ બ્યુરોના ઉપક્રમે યોજાઇ રહેલી આ કોન્ફરન્સમાં આતંકવાદ અને નકસલવાદ અંગે દેશભરના પોલીસ વડાઓ સ્ટેટેજી બનાવશે, જેમાં તજજ્ઞોનું માર્ગદર્શન લેવાશે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના પોલીસ વડાઓને પણ દિલ્હી તેડાવાયા છે. આ કોન્ફરન્સ ૨૫ થી ૨૭ ઓગષ્ટ સુધી ચાલશે.
ગુજરાતના બોર્ડર વિસ્તારમાં કેન્દ્રીય સહાયતાની દરખાસ્ત રજુ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્ય ડીજીપી રાજ્યની આંતરિક સલામતી અંગે કેટલાક સૂચનો કરવા માગે છે જેને સ્વીકૃતિ આપવાનો પ્રયાસ થશે. ખંડવાવાલા ૩૧મી ઓગષ્ટે નિવૃત્ત થઇ રહ્યાં છે. તેમના પછી આ સ્થાને ચિતરંજનસિંહ અને સુધીર સિંહા વચ્ચે સ્પર્ધા છે.