ગુજરાત સહિત ભારતભરમાં અત્યારે રૂપિયાનું ચલણ પ્રચલિત છે તે જ રીતે તત્કાલિન સમયમાં ગુજરાતમાં ‘ટન્કા’ નામનું ચલણ પ્રચલિત હતું. અડાલજની વાવ મળતા શિલાલેખ અને સરખેજની અહેમદ ખટ્ટુની મિસ્જદની દિવાલ ઉપર પર મળતા ઉલ્લેખમાં તેનો સમાવેશ થયો છે, એમ ૧૧ લિપિઓના જ્ઞાત ડો.ભારતીબેન શેલતે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું. શહેરમાં શરૂ થયેલી ત્રિદિવસીય હસ્તપ્રતવિદ્યા અંગેની કાર્યશાળામાં સોમવારે,બીજા દિવસે તેમણે ‘ભારતીય ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિના મૂળ સ્રોત : શિલાલેખ અને હસ્તપ્રતો’ વિષય ઉપર પોતાનું પ્રવચન આપ્યું હતું. ઉપરાંત, અનેક વિદ્વાનોના વ્યાખ્યાન પણ યોજાયા છે.
ડો.ભારતીબેન શેલતે જણાવ્યું કે આપણી સંસ્કૃતિ અને ઈતિહાસને જાણવા માટે શિલાલેખો અને હસ્તપ્રતોનો અભ્યાસ ખૂબ જ ઉપયોગી છે. અડાલજની વાવમાં મળતા શિલાલેખમાં જણાવાયું છે કે સ્થાનિક રાજા વીરસિંહની પત્ની, રૂડાદેવીએ ૫,૦૦,૧૧૧ ‘ટન્કા’ ખચીgને આ વાવ બનાવી હતી. જે વિશ્વના પ્રાણીઓના ઉપકાર માટે બનાવી છે. જ્યારે સરખેજની અહેમદ ખટ્ટુની મિસ્જદની દિવાલની ટોચે જુની ગુજરાતીમાં ઉલ્લેખ થયેલો છે કે નવ લાખ ‘ટન્કા’ ખર્ચીને આ સરોવર બંધાવ્યું હતું.
તેમણે કહ્યું કે ગુજરાતમાં અત્યારે જે રીતે વિક્રમ સંવત, શક સંવત, વીર સંવત પ્રચલિત છે, એ રીતે ૧૨ સંવતો પ્રચલિત હતા. હિબ્રુ સંવત પણ ગુજરાતમાં જોવા મળે છે. સાથોસાથ કલચૂરી વંશના રાજાઓએ કલચૂરી સંવત શરૂ કરાવી હતી, ગુપ્ત અને વલભી સંવત પણ હતી. હજિરી સન, આર્મેનિયમ સંવત, ઇલાહી સન કે જે અકબરે શરૂ કરી હતી. પારસીઓની યઝદે ઝર્દી ઉપરાંત સોરઠમાં તત્કાલિન સિદ્ધરાજ જયસિંહે ‘સિંહ’ સંવત શરૂ કર્યો હતો.
તેમણે કહ્યું કે ગુજરાતમાં સૌથી પ્રાચીન શિલાલેખ જુનાગઢમાં જોવા મળતો અશોકનો શિલાલેખ છે. જે ઇ.સ.પૂર્વે ત્રીજી સદીનો છે. ઉપરાંત, હડપ્પીય સભ્યતાની લિપિમાં મળતી માટીની પકવ મુદ્રાઓ જે ધોળાવીરા, લોથલમાંથી મળી આવે છે. જેની લિપિ હજુ સુધી ઉકેલાઇ શકી નથી.
છેક આફ્રિકાના ટાપુ પર ગુજરાતી વેપારીઓના નામ મળે છે
ડો.ભારતીબેને જણાવ્યું કે આફ્રિકાના દરિયાકિનારે ‘સોકોતરા ટાપુ’ પરથી હોક નામની ગુફા શોધાઇ છે. જેમાં ગુજરાતના પાંચ શિલાલેખો મળી આવ્યા છે. જેની લિપિ ઉકેલવા મારી પાસે આવ્યા હતા. તેમાં ઉલ્લેખ છે કે સૌરાષ્ટ્રથી જહાજમાં ગુજરાતી લોકોનો કાફલો ત્યાં ૪૯ દિવસની મુસાફરી કરી ત્યાં પહોંચ્યો હતો. ઉપરાંત ત્યાં બ્રાહ્ની લિપિમાં ગુજરાતી વેપારીઓના નામ મળે છે. જેમાં વિષ્ણુ દત્ત, અજીત વમૉ જેવા નામ મળે છે.