અમરાઇવાડી પોલીસ મથકમાં શુક્રવારે રાતે ધારદાર છરા સાથે ઘુસી આવી પોલીસ કોન્સ્ટેબલ રતનસિંહ મનુભા ઝાલાને પેટમાં છરો મારી દેનાર આરોપી સુનિલ મદ્રાસીને અમરાઇવાડી પોલીસે ઝડપી લીધો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે રતનસિંહ આરોપી સુનિલ ઉપર વોચ રાખતા હોવાનું જાણવા મળતા સુનિલે હુમલો કર્યો હતો.
પ્રાપ્તમાહિતી અનુસાર,અમરાઇવાડી પોલીસ મથકમાં ક્રાઈમ રાઈટડ હેડ તરીકે ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ રતનસિંહ મનુભા ઝાલા શુક્રવારે રાતે ૯.૦૦ વાગે પોલીસ મથકમાં ફરજ ઉપર હાજર હતા. દરમિયાનમાં એકાએક સ્થાનિક બુટલેગર તેમજ હીસ્ટ્રીશીટર સુનિલ મદ્રાસી ઉર્ફે મચ્છીવાળો ધારદાર છરા સાથે પોલીસ મથકમાં ઘુસી આવ્યો હતો અને અન્ય પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ રતનસિંહને પેટમાં છરો ઘુસાડી દીધો હતો.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રતનસિંહને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જયાં રતનસિંહે અમરાઇવાડી પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે સુનિલની ધરપકડ કરી ગુનામાં વપરાયેલો છરો કબજે કર્યો હતો. આ અંગે અમરાઇવાડી સેકન્ડ પીઆઈ પી.એસ.ગોસ્વામીએ જણાવ્યું હતુ કે સુનિલ અગાઉ દારુનો ધંધો કરતો હતો. ત્યારે તેની વિરુધ્ધ પ્રોહીબીશનના કેસો નોંધાયા હતા.
આ ઉપરાંત તેની ઉપર ખૂનની કોશિષ,મારા મારી સહિતના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા હતા. જેથી રતનસિંહ પોતાના ઉપર ગુપ્ત રાહે વોચ રાખી રહ્યા હોવાનું જાણવા મળતા સુનિલે તેમના ઉપર હુમલો કર્યો હતો