વીજળીઘરથી કાલુપુર સુધી એલિવેટેડ કોરિડોર બનાવાશે
વેપારીઓ ઉપર ૨૨ કરોડના કરવેરા ઝીંકાયા, વ્હીકલ ટેક્સ હવે વાહનની મૂળ કિંમત ઉપર લેવાશે : વિકાસનાં કામો હાથ ધરવા બજેટમાં જાહેરાત
કોટવિસ્તારમાં સાંકડા રસ્તા અને કોમર્શિયલ બિલ્ડિંગની સંખ્યા વધી જતા ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે, જેને હલ કરવા મ્યુનિ. ભાજપે વીજળીઘરથી કાલુપુર સ્ટેશન સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાની દરખાસ્ત બજેટમાં રજુ કરી છે.
તેમજ બજેટમાં કોમર્શિયલ મિલકતધારકો પર વોટર અને કોન્ઝર્વન્સી ટેક્સમાં વધારો કરીને R ૨૨ કરોડની આવક મેળવાશે. મ્યુનિ.કમિશનરે સને ૨૦૧૨-૧૩ના વર્ષ માટે રજુ કરેલા રૂ.૪૧૮૧ કરોડના અંદાજપત્રમાં રૂ.૩૩૦ કરોડનો વધારો સૂચવી ૪૫૧૧ કરોડના બજેટને શુક્રવારે સ્ટે.કમિટીની ખાસ બેઠકમાં મંજુરી અપાઈ હતી.
મ્યુનિ. બજેટમાં સુધારા બાદ સ્ટે.કમિટી ચેરમેન ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, લાલદરવાજાથી કાલુપુર તરફ જવાના રસ્તાઓ ઉપર ટ્રાફિકનું ભારણ વધી ગયું છે, તેને ધ્યાનમાં રાખી સૌથી વ્યસ્ત એવા રિલીફરોડ ઉપર એલિવેટેડ કોરિડોર બનાવવા માટે વિચારણા કરવામાં આવી હતી અને આવો કોઇ કોરિડોર બની શકે કે કેમ તેની શક્યતા ચકાસવા માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે ૧૫ લાખની ફાળવણી કરવામાં આવી છે.
જોકે કોટવિસ્તારમાં આવેલા પ્રાચીન સ્થાપત્યો અને પુરાતત્વખાતાના કાયદાને જોતાં વીજળીઘરથી કાલુપુર સ્ટેશન સુધીનો એલિવેટેડ કોરિડોર સાકાર થશે કે કેમ તેવા સવાલો ઉપસ્થિત થઇ રહયાં છે, પરંતુ આવો આ કોરિડોર બને તો રિલીફરોડથી ફકત પાંચ સાત મિનિટમાં જ કાલુપુર પહોંચી જવાશે.
કોરિડોર બનાવવા માટે પ્રિફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે ૧૫ લાખ ફાળવાયા
હાલ વીજળીઘરથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી રસ્તો પસાર કરવા ૨૦ મિનિટનો સમય લાગે છે. કોરિડોર પછી આ રસ્તો માત્ર ૫થી ૭ મિનિટમાં કપાઈ જશે
આ કોરિડોર બનાવવામાં હેરિટેજવિભાગનો વાંધો રજુ નહીં થાય તો આગામી બે વર્ષમાં બ્રિજનું કામ શરૂ થઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
ભાજપે સૂચવેલાં વિકાસકામો
જજીસ બંગલાથી સિંધુભવનના માર્ગ ઉપર ફલાયઓવર
હેલ્મેટ સર્કલ ખાતે ટૂ લેવલ ફલાય ઓવરબ્રિજ
નરોડા નેશનલ હાઇવે ઉપર રેલવે ક્રોસિંગ ઉપર બ્રિજ
ખારીનદી ઉપર હાથીજણ ગામ પાસે રિવરબ્રિજ
વીજળીઘરથી કાલુપુર સુધી એલિવેટેડ કોરિડોર
ખારીકટ કેનાલને સમાંતર રસ્તા પહોળા કરાશે
આશ્રમરોડને સમાંતર રેલવેલાઇનની બંને બાજુના રસ્તાનો વિકાસ
નવા પશ્ચિમ ઝોનમાં બીઓટી ધોરણે ટાગોર હોલ જેવો હોલ
નવા પશ્ચિમ ઝોનમાં ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક તૈયાર કરાશે
બાલવાટિકાનું નવીનીકરણ કરાશે
ટાઉન પ્લાનિંગ માટે અર્બન હાઉસ બનાવાશે
સરદાર પટેલ રિંગરોડની બંને બાજુ વૃક્ષારોપણ કરાશે
ઓકિસજન પાર્ક અને થીક ફોરેસ્ટ- સિનિયર સિટીઝન કોર્નર
નવા જિમ્નેશિયમ તથા લાઇબ્રેરીનું આયોજન
૧૦૦ જંકસન પર ટ્રાફિક સિગ્નલ નંખાશે
ગટરનાં પાણીમાંથી પિરાણા અને રાસ્કા ખાતે હાઇડ્રોપાવર એનર્જી પ્રોજેક્ટ હાથ ધરી વીજળી પેદા કરાશે.
વોટર-કોન્ઝર્વન્સી ટેક્સમાં ૫% નો ઘટાડો
મ્યુનિ. કમિશનરે રજુ કરેલા સને ૨૦૧૨-’૧૩ના વર્ષ માટેના અંદાજપત્રમાં આવક વધારવા માટે તેમજ જેએનયુઆરએમ સાથે કરેલા એમઓયુને અનુસરતાં પ્રોપર્ટી ટેક્સમાં વોટર અને કોન્ઝર્વન્સી ટેક્સમાં ભાજપે પાંચ ટકાનો ઘટાડો કરી કરવેરો ઝીંકયો છે.
લક્ઝુરિયસ કાર અને બાઈક વધુ મોંઘાં થશે
હાલ વાહનો ઉપર નજીવો લાઇફ ટાઇમ ટેક્સ મ્યુનિ. દ્વારા વસૂલ કરાતો હતો, તેના બદલે નવા વર્ષથી વાહનની કિંમતના આધારે ટેક્સ વસૂલ કરાશે.
હથેળીમાં ચાંદ દેખાડતો ભાજપ
મ્યુનિ. શાસક ભાજપે મંજુર કરેલાં રૂ.૪૫૧૧ કરોડના અંદાજપત્રને અવાસ્તવિક અને દિશાવિહીન ગણાવતાં મ્યુનિ.કોંગ્રેસે ભાજપ દ્વારા શહેરીજનોને હથેળીમાં ચાંદ દેખાડવાનો મિથ્યા પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે. મ્યુનિ.કોંગ્રેસપક્ષ નેતા બદરૂદ્દીન શેખે શાસક ભાજપ દ્વારા કમિશનરના બજેટ ઉપર સૂચવાયેલા ૩૩૦ કરોડના સુધારા ઉપર ટીપ્પણ કરતાં કહયું કે, એક બાજુ મ્યુનિ.ના જ આંકડા દર્શાવે છે કે, દર વર્ષે આવકમાં ઘટ નોંધાય છે તેમ છતાં સત્તાધારી પક્ષ નાગરિકોને ભરમાવવા માટે મોટાં મોટાં કામો દર્શાવે છે, અગાઉના જે કામોની દરખાસ્ત થઇ હતી તેમાંથી ઘણા કામો થયા નથી.