- MLA કનુભાઈ કળસરીયાની હાલત સુધારા પર
- ટ્રકની હેડલાઈટથી અંજાઈને ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો
- સર ટી. હોસ્પિટલ ખાતે રાજકિય, સામાજીક ખેડૂતોના ટોળેટોળા ઉમટી પડ્યાં
- મુખ્યમંત્રી મોદીએ ટ્વિટર પર ચિંતા વ્યક્ત કરી ઝડપથી સ્વસ્થ થવા માટે શુભેચ્છા પાઠવી
- ભાવનગરના વલ્લભીપુર નજીક નડ્યો અકસ્માત
- ઘાયલોને સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા
મોટર માર્ગે અમદાવાદથી ગઈકાલે મોડીરાત્રે મહુવા તરફ આવી રહેલા મહુવાના ધારાસભ્ય કનુભાઈ કળસરિયાને નડેલા અકસ્માતમાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કનુભાઈના સાથી બાવચંદભાઈ ધામેલિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે કનુભાઈને આંખની નીચેના હાડકામાં ફેકચર અને છાતીના ભાગે ઈજાઓ થઈ હતી. ઘટના બાદ ઈજાગ્રસ્તોને ભાવનગર હોસ્પિટલ ખસેડાયા બાદ રાજકિય, સામાજીક આગેવાનો અને ખેડૂતો ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા દોડી ગયાં હતાં. દરમિયાનમાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને આ અકસ્માતની જાણ થતાં ટ્વીટર પર તેઓએ ડૉ. કળસરિયાના ખબર પૂછયાં હતાં.
વલભીપુરથી ૧ કિ.મી. દૂર ભાવનગર-અમદાવાદ હાઈવે ઉપર પ્રગટેશ્વર મહાદેવ મંદિર પાસે રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ મહુવાના ધારાસભ્ય કનુભાઈ કળસરિયા મારૂતિ સ્વીફટ મોટરકાર નંબર જી.જે. ૪-બી.ઈ. ૧૬૦૬માં તેમના મિત્રો રાજુભાઈ જોળિયા, બાવચંભાઈ ધામેલિયા અને ડ્રાઈવર ક્રિપાલસિંહ સાથે અમદાવાદથી મહુવા તરફ જતાં હતાં તે સમયે સામેથી આવતા ટ્રકની હેડલાઈટમાં અંજાય જતાં ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને મોટરકાર મંદિર નજીકના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
તમામને વલભીપુરની ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જેમાં બાવચંદભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. ડ્રાઈવર ક્રિપાલસિંહને પગમાં ફેકચર થતાં આજે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યારે આગળની સીટમાં બેઠેલા અન્ય ડ્રાઈવર રાજુભાઈને મૂંઢમાર ઈજાઓ થવા પામી હતી.
ખેડૂતોના બેલી કનુભાઈ કળસરિયાને અકસ્માતના સમાચાર મળતા આજ રોજ સામાજિક-રાજકીય અગ્રણીઓ, ખેડૂતો સહિતના લોકોનાં ધાડેધાડા હોસ્પિટલ ખાતે ખબર અંતર પૂછવા ઉમટી પડ્યા હતા. જોકે, કનુભાઈને આંખની નીચેના હાડકામાં તેમજ પાંસળીનું ફેકચર થવા સિવાય તેમની હાલત વધુ ગંભીર ન જણાતા ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો.
બગોદરાથી વલ્લભીપુર વચ્ચે ક્રિપાલસિંહે ડ્રાઈવીંગ હાથમાં લીધું હતું....
કનુભાઈના ડ્રાઈવર રાજુભાઈએ જ દિવસભર ડ્રાઈવીંગ કર્યું હતું, પરંતુ મોડીરાત્રે બગોદરાથી વલ્લભીપુર વચ્ચે રાજુભાઈને આરામ આપવા ક્રિપાલસિંહે ડ્રાઈવીંગ હાથમાં લીધું હતું અને વચ્ચે જ આ ઘટના ઘટી હતી. જેમાં રાજુભાઈ ડ્રાઈવરની સીટની બાજુમાં અને બાવચંદભાઈ તેમજ કનુભાઈ પાછળની સીટમાં બેઠાં હતાં.