૧૮૧૪ કરોડના પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર મંજૂર કરતી નથી: આનંદીબહેન પટેલ
- વિપક્ષના નેતા પોતાની વગ વાપરી તેને મંજૂર કરાવી આપે : શહેરી વિકાસ મંત્રી આનંદીબહેન પટેલ
કેન્દ્રની જેએનઆરયુએમ યોજના હેઠળ દેશમાં શહેરી સુખાકારીના જે ૧પ૦ પ્રોજેક્ટ પૂરા થયા છે. તે પૈકીના ૩૦ ટકા પ્રોજેક્ટસ એકલા ગુજરાતમાં પૂરા થયા છે. આ યોજના હેઠળના ગુજરાતમાં કુલ ૭૩ પ્રોજેક્ટસ અમલમાં મુકાયા હતા. તેમાંથી ૪પ પ્રોજેક્ટ્સ પૂરા કરી દેવાયા છે. અન્ય પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા જો રાજ્ય સરકારની આલોચના કરતા હોય તો હાલને તબક્કે ગુજરાતની શહેરી સુખાકારીના રૂપિયા ૨૧૪ કરોડના વિવિધ પ પ્રોજેક્ટ છેલ્લા ૯ મહિનાથી કેન્દ્ર સરકાર સમક્ષ પડતર છે. જેને હજુસુધી મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત રૂપિયા ૧૬૦૦ કરોડના અન્ય ૧૦ પ્રોજેક્ટસ પણ ગુજરાતે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી દીધી છે. આમ, કુલ રૂ.૧૮૧૪ કરોડના ૧પ પ્રોજેક્ટ કેન્દ્રની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે,એમ શહેરી વિકાસમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, જો, કોંગ્રેસના નેતા કે વિપક્ષના નેતાનું કેન્દ્રમાં તેમનું ચાલતું હોય તો તેમણે કેન્દ્રમાંથી ગુજરાતના આ પ્રોજેક્ટ મંજૂર કરાવીને તેઓ રાજ્યનીપ્રજાના હિતમાં સહભાગી થશે ખરા ?
કેન્દ્ર સરકારની જેએનઆરયુએમ જેવી યોજના હેઠળ કેન્દ્ર સરકાર શહેરી સુખાકારી માટે ૩પ ટકા ગ્રાન્ટ આપે છે, બાકીની ૬પ ટકા ખર્ચ તો રાજ્ય સરકાર દ્વારા કરાય છે. જેમાં રાજ્યના શહેરી વિકાસના બજેટનો બહુધા હિસ્સો વપરાતો હોય તો સ્વાભાવિકપણે જ તે વિકાસ કાર્યો રાજ્ય સરકારના જ કહેવાય. તેમણે કહ્યું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ-વિપક્ષના નેતા હજુ સુધી રાજ્યના પાટનગર ગાંધીનગર, સરદાર પટેલની જન્મભૂમિ કરમસદનો સમાવેશ પણ જેએનઆરયુએમ હેઠળ કરાવી શક્યા નથી ત્યારે હવે તેમની નિવેદનોની ભ્રમજાળમાં પ્રજા ફસાવાની નથી, એ વાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પછી તેમણે સ્વીકારી લેવું જોઈએ.







