મીડિયાકર્મીઓને મુશ્કેલીના સમયે નાણાંકીય મદદ પૂરી પાડવા માટે દિલ્હી સરકાર પાંચ કરોડ રૂપિયાનું ફંડ ઉભું કરવાનું વિચારી રહી છે.
આ સંદર્ભે જાહેરાત કરતાં દિલ્હીના મુખ્યમંત્રી શિલા દિક્ષિતે કહ્યું હતું કે પત્રકારોના તત્કાલ મૃત્યુ અથવા ઈજા વખતે તેમના પરિવારજનોને મદદ કરવા માટે પણ ફંડનો ઉપયોગ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે આ મુદ્દો કેબિનેટમાં ચર્ચાયો છે અને અંતિમ નિર્ણય ઝડપથી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર પત્રકારો માટે કેશલેસ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવા સુધીનો વિચાર કરી રહી છે.
મુખ્યમંત્રી શિલા દિક્ષિતે આ વાત ફરીથી બનાવાયેલા મીડિયા ફેસિલિટેશન સેન્ટરનું દિલ્હી સેક્રેટરીયેટ ખાતે ઉદ્ઘાટન કર્યા બાદ કહી હતી. આ સેન્ટરને ફરીથી બનાવવા માટે 50 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે અને તેમા ઈન્ટરનેટની સુવિધા સાથે પાંચ કોમ્પ્યુટર, પ્રિન્ટર્સ, ફેક્સ મશીનો, સ્કેનર્સ, કલર ટેલિવિઝન, રેડિયો અને કોફી વેન્ડિંગ મશીન પણ મુકવામાં આવ્યા છે.
શિલા દિક્ષિતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નવું સેન્ટર પત્રકારોના દિલ્હી સરકારના તાત્કાલિક કવરેજની જરૂરિયાત પૂરી પાડવા માટે સક્ષમ બનશે. આ સેન્ટરમાં એલસીડી પ્રોજેકટર પણ મુકવામાં આવ્યું છે.