મોટા ભાગની કોલેજ પ્રધાનો, સંસદસભ્યો અને વિધાનસભ્યોની હોવાનું કહેવાય છે: તેમાં દત્તા મેઘે, વિજય વેડેટ્ટીવાર, ગોપાલદાસ અગરવાલ, રાજેન્દ્ર ભુબળે અને સેવક વાઘાયેનો સમાવેશ થાય છે
મુંબઈ હાઈકોર્ટના નિર્ણય બાદ વારંવાર સમજાવવા છતાં પૂર્ણસમયના (ફુલટાઈમ) પ્રિન્સિપાલ- વ્યાખ્યાતાની નિમણુંક ન કરનારી ૩૫૩ કોલેજોમાં પ્રવેશને નાગપુર યુનિવર્સિટીએ અટકાવ્યો છે. જોકે આ કોલેજોએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ધા નાખતાં પ્રવેશ અટકાવતા કાયદા સામે સ્ટે અપાયો છે. આને કારણે કોલેજોને હાલપૂરતી રાહત થઈ છે.
આ કોલેજોની યાદીએ યુનિવર્સિટીએ મંગળવારે વેબસાઈટ પર ચમકાવી હતી. આ કોલેજોમાં પ્રખ્યાત રાયસોની અને મેઘે જુથની કોલેજોનો સમાવેશ છે. જોકે આ કોલેજોમાંની મોટા ભાગની કોલેજો પ્રધાનો, સંસદસભ્યો અને વિધાનસભ્યોની હોવાનું કહેવાય છે, જેમાં દત્તા મેઘે, વિજય વેડેટ્ટીવાર, ગોપાલદાસ અગરવાલ, રાજેન્દ્ર ભુબળે અને સેવક વાઘાયે વગેરેનો સમાવેશ થાય છે.
આ કોલેજોએ ૨૦૧૦-૨૦૧૧ના વર્ષ માટે કોઈ પણ વિદ્યાર્થીને પ્રવેશ ન આપવો, એવી સૂચના કરતાં યુનિવર્સિટીએ પ્રવેશ રોકયો છે. યુનિર્વસિટીની પરવાનગી વગર પ્રવેશ આપવામાં આવશે તો તેની જવાબદારી કોલેજોની રહેશે અને તેનું પરિણામ કોલેજોએ ભોગવવું પડશે, એવી ચીમકી પણ યુનિ.એ આપી હતી. વાઈસ ચાન્સેલર એસ.એન. પઠાણે કાયમી સ્વરૂપના પ્રિન્સિપાલ-વ્યાખ્યાતાની નિમણુંક ન કરનારી કોલેજોનાં નામો સાત જુન અગાઉ પ્રસિદ્ધ કરાશે એમ જાહેર કર્યું હતું.
નાગપુર યુનિ. સાથે જોડાયેલી કોલેજો રાજકારણીઓની અને વગવાળા, સંપન્ન આસામીઓની હોઈને તેનાં નામો પ્રસિદ્ધ ન કરવા માટે દબાણ આવ્યું હતું. જોકે યુનિવર્સિટી રાજ્ય સરકાર પાસેથી લીલી ઝંડી મળવાની રાહ જોઈ રહી હતી. શનિવારે યુનિવર્સિટીના દીક્ષાન્ત સમારંભમાં વકતવ્ય આપતી વખતે પઠાણે એવો સંકેત આપ્યો હતો કે, યુનિવર્સિટી હાઈકોર્ટના આદેશનું પાલન કરશે અને ૩૧ મે સુધીમાં ફુલટાઈમ પ્રિન્સિપાલ અથવા વ્યાખ્યાતાઓની નિમણુંક નહીં કરાતાં તે કોલેજો વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
હાઈકોર્ટનો આદેશ આવ્યા બાદ યુનિવર્સિટીએ કરેલી ચકાસણીમાં ૪૫૦ કોલેજોમાં કાયમી પ્રિન્સિપાલ કે વ્યાખ્યાતાઓ ન હોવાનું જોવા મળ્યું હતું. આથી જાહેર કરવામાં આવેલી આ યાદી આખરી નથી અને તેમાં સુધારણા થઈ શકે છે. જોકે આ નામો જાહેર કરીને યુનિ.એ પહેલું પગલું ભર્યું છે. હવે સુપ્રીમ કોર્ટનો આદેશ સામે સ્ટે આવ્યા બાદ અંતિમ ફેંસલો શું આવશે તેની પર સૌની મીટ મંડાયેલી છે.