પોલીસ પાસે પુરાવા છે અને આરોપીઓ હાલમાં ક્યાં છે તેની પણ જાણ છે એમ જણાવતાં આરોપીઓને ‘ટૂંક સમયમાં’ પકડવાનો એટીએસના આધિકારીઓને વિશ્વાસ હોવાનું ગૃહ પ્રધાને કહ્યું
અહીંની જર્મન બેકરીમાં ૧૩ ફેબ્રુઆરીના થયેલા બોમ્બધડાકાના ગુનેગારોને પોલીસે ઓળખી કાઢયા છે, એમ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન આર. આર. પાટીલે મંગળવારે કહ્યું હતું.
અત્રે એક કાર્યક્રમ બાદ ગૃહ પ્રધાને પત્રકારોને કહ્યું હતુ કે, ‘ધડાકામાં સંડોવાયેલાઓને પોલીસે ઓળખી કાઢયા છે. પોલીસ પાસે પુરાવા છે અને આ વ્યક્તિઓ ક્યાં છે તેની પણ પોલીસને ખબર છે. આ વ્યક્તિઓ હાલમાં ફરાર છે અને દેશના જુદા જુદા ભાગોમાં છે.’
જોકે પોલીસની તપાસ બાબતે વધારે વિગતો ન આપનારા આર. આર. પાટીલે કહ્યું હતું કે, ‘કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને રાજ્ય એટીએસ ધડાકાના આરોપીઓના સગડ શોધતી હતી અને તે અધિકારીઓએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આરોપીઓને ‘ટૂંક સમય’માં પકડી લેવામાં આવશે.’ ખાનગી સિકયુરિટી એજન્સીઓના પરવાના પોતાનાં સગાં-સંબંધીને આપીને પુણેના કેટલાક પોલીસ અધિકારીઓએ સગાંવાદ આચર્યા હોવાના આક્ષેપ કરતા અહેવાલોની નોંધ લેતાં પાટીલે કહ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિએ પોતાના હોદ્દાનો ગેરઉપયોગ કર્યાની બાબતનો દોષી ઠરશે તો આવશ્યક પગલાં લેવામાં આવશે. પુણેનાં પોલીસ કમિશનર મીરા બોરવણકરને આ મામલે અહેવાલ પાઠવવા જણાવાયું હોવાનું પાટીલે ઉમેર્યું હતું.
તાજેતરમાં પુણે પોલીસની સત્તાવાર વેબસાઈટે પોલીસ દ્વારા જ વ્યવસાય ચલાવવા માટે પરવાના આપવામાં આવેલી ૧૮૦ ખાનગી સુરક્ષા એજન્સીઓની યાદી પ્રગટ કરી હતી. લાઈસન્સો આપવાને મામલે સગાંવાદ આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરનારા અહેવાલો વિશે પ્રતિક્રિયા આપતાં પુણે પોલીસના એક પ્રવકતાએ કહ્યું હતું કે, આ પરવાના આપવાના મામલામાં ‘કાનૂની આવશ્યકતાઓ’ પૂર્ણ કરવામાં આવી હતી અને તેમાં કાયદાનો કે સત્તાવાર પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નહોતું.