એક નાણાકીય છેતરપિંડીના કેસમાં આરોપીને બચાવવા તપાસમાં બે આઈપીએસ અધિકારીઓએ દખલગીરી કરી હતી જેના પગલે મુંબઈ હાઈકોર્ટે તેમને નોટિસ ફટકારી ચાર અઠવાડિયામાં જબાવ આપવાનો આદેશ આપ્યો
મુંબઈ હાઈકોર્ટે ફોજદારી ફરિયાદો તપાસતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની વધતી જતી દખલગીરી અંગે નારાજગી વ્યક્ત કરતાં બે વરિષ્ઠ આઈ.પી.એસ. ઓફિસરોને નોટિસ ફટકારી હતી.
એક યાચિકા મુજબ બે વરિષ્ઠ અધિકારીઓએ એક નાણાકીય છેતરપિંડીના કેસમાં આરોપીને બચાવવા તપાસમાં દખલગીરી કરી હતી. ન્યાયાધીશ વી.એમ. કાનડે અને ન્યાયાધીશ પી.ડી. કોદેની ડિવિઝન બેન્ચે આ બાબતે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘‘મહારાષ્ટ્રમાં ભૂતકાળમાં આવી બાબતો બનતી નહોતી.’’
ન્યાયાધીશોએ સરકારી વકીલ પાડુંરગ પોલને ટ્રેનિંગ અને સ્પેશિયલ ફોર્સીસના ખાસ ઈન્સ્પેકટર જનરલ અમિતાભ ગુપ્તા અને થાણાના જોઈન્ટ કમિશનર બિપિન બિહારી સામે તપાસમાં દખલ કરવા બદલની જાણ રાજ્યના ગૃહપ્રધાનને કરવા જણાવી સરકારને ચાર અઠવાડિયાંમાં એફિડેવિટ દ્વારા જવાબ આપવા સૂચના આપી હતી.
યાચિકાકર્તા રાજીવ શર્માએ પોતે દાખલ કરેલી ફરિયાદની તપાસમાં દખલગીરી અંગે જયુડિશિયલ તપાસ કરવાની માગણી કરી હતી. શર્માએ રાધેશ્યામ ગુપ્તા જે ધનલક્ષ્મી કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન છે અને તેના ભાઈ શરદ ગુપ્તા જે એક લોયલ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન છે તેમની સામે છેતરપિંડીની ફરિયાદ ૧૦મી જુન, ૨૦૧૧ કરી હતી.
યાચિકામાં જણાવ્યા મુજબ ગુપ્તા બંધુઓએ શર્માના કુટુંબીજનોને તેમની ક્રેડિટ સોસાયટીઓમાં વર્ષ ૨૦૦૨ અને વર્ષ ૨૦૦૮ વચ્ચે R ૯ કરોડ જમા કરવા લાલચ આપી હતી.
જોકે વર્ષ ૨૦૦૮માં જ્યારે તેમની ફિકસ ડિપોઝિટ પાકી ગઈ ત્યારે બંને ક્રેડિટ સોસાયટીઓ નાણાં પરત કરવામાં નિષ્ફળ નીવડી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે આ બાબતને ગણકારી નહોતી. રાજીવ શર્માએ પોતાની ફરિયાદ આગળ વધારતાં જણાવ્યું હતું કે ૮-૬-૨૦૧૧ના રોજ ગુપ્તા બંધુઓની સૂચનાથી ૨૦થી ૨૫ વ્યક્તિઆના ટોળાએ તેમની દુકાન વેરવિખેર કરી નાખી હતી અને તેમની માતાને તેમ જ અન્ય કુટુંબીજનોને માર માર્યો હતો.
બીજા દિવસે સાંતાક્રુઝ પોલીસે ગુપ્તા સામે ફરિયાદ કરી હતી અને ગુપ્તા બંધુઓએ સામે ફરિયાદ કરી હતી. શર્માની યાચિકામાં જણાવવામાં આવ્યું હતું કે આ દરમિયાન તેની કાકીની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ શર્માની ફરિયાદ ઉપર આઈ.પી.એસ. અધિકારીઓની દખલગીરીને મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.