રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીઓ બાદ નેશનલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ)એ જિલ્લા પરિષદો અને મહાપાલિકાની ચૂંટણીઓ માટે તમામ શક્તિ દાવ ઉપર લગાડી હોઈને તેના પરિણામ આધારે ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણી પોતાની તાકત પર લડશે કે નહીં તેની વ્યૂહનીતિ નક્કી થશે.
વર્ષ ૧૯૯૯ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ સાથે હાથ મેળવનારા રાષ્ટ્રવાદી કોંગ્રેસે હવે ૨૦૧૪ની વિધાન સભાની ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો જીતવાનું લક્ષ્ય માત્ર રાખ્યું છે એ માટે પક્ષે પધ્ધતિસર મોરચો બાંધવા માંડ્યો છે. એનસીપીએ પોતાના બળે ચૂંટણી લડીને સૌથી વધારે નગરપાલિકાઓમાં જીત મેળવી હતી.
જિલ્લા પરિષદોની ચૂંટણી પણ એનસીપીએ પોતાની તાકાત પર લડી હતી. ઉપરાંત મહાપાલિકાની ચૂંટણીમાં જ્યાં રાષ્ટ્રવાદી કોંગ્રેસનું વર્ચસ્વ છે ત્યાં પોતાની તાકાત પર ચૂંટણી જંગમાં છે તથા મુંબઈ, નાગપુર અને પુણે જેવા સ્થળે મહાપાલિકામાં કોંગ્રેસનું બળ વધારે છે ત્યાં એનસીપીએ કોંગ્રેસ સાથે આઘાડી બનાવી છે.
નગરપાલિકાની ચૂંટણીમાં સફળતા મળ્યા બાદ જિલ્લા પરિષદો અને મહાનગર પાલિકાની ચૂંટણીઓ માટે કમર કસીને તૈયારી કરી હતી અને કોંગ્રેસને અંધારામાં રાખી હતી.
આ ચૂંટણીમાં કેવી સફળતા મળે છે તેના આધારે ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણી લડવાની કે નહીં તે બાબતનો નિર્ણય લેવાશે. વલી નાયબ મુખ્ય પ્રધાને રાજ્યના મુખ્ય પ્રધાન બનવાની તેમની ઇચ્છા ખુલ્લેઆમ બોલી બતાવી છે. જો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસનું પશ્ચિમ મહારાષ્ટ્રમાં વર્ચસ્વ છે, પણ બાકીના રાજ્યમાં તેની તાકાત નબળી છે. તેને પગલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ દ્વારા શિવસેના, ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટ અને ઉતારી પડાયેલા નેતાઓને પોતાના પક્ષમાં તાણે છે.