‘શિવસેના પ્રમુખે જે સર્જન કર્યું, તેનું વિસર્જન કરવાનું બિડું ઉદ્ધવ ઠાકરેએ ઉપાડ્યું છે. ઉદ્ધવ ઠાકરે ખરા અર્થમાં ઉદ્ધવસ્ત ઠાકરે હોવાથી તેઓ આવતા પાંચ વર્ષોમાં શિવસેનાને ખતમ કરી નાખશે.’’ એવી આગાહી મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન નારાયણ રાણેએ કરી હતી.
જિલ્લા પરિષદોની આગામી ચૂંટણીના અનુસંધાનમાં રત્નાગિરિ ખાતે કોંગ્રેસી કાર્યકરોના મેળાવડામાં પ્રવચન કરતાં તેમણે શિવસેના ઉપરાંત કોંગ્રેસના મિત્ર પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા. ‘‘મિત્ર પક્ષ કહ્યા તો મિત્રની જેમ વર્તો. ખોટે ખોટા આડા ન ઉતરો. જે મારા રસ્તે આડા ઉતર્યા- અડફેટમાં આવ્યા, એ ખતમ થયા, એવો મારો ૪૫ વર્ષનો અનુભવ છે.’’ એવી ભાષામાં રાણેએ એનસીપીને ચીમકી આપી હતી.
કોંકણ પ્રાંતમાં નારાયણ રાણેના જુથની હરીફાઈમાં એનસીપીનું ભાસ્કર જાધવ જુથ હોવાનું ચિત્ર ઉપસ્થિત થયું છે. આ હરીફાઈના વિવાદના સંદર્ભમાં રાણેએ એનસીપીને લાલબત્તી બતાવી હતી. નારાયણ રાણે પછી તેમના દીકરા સંસદસભ્ય નીલેશ રાણેએ પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસને નિશાન બનાવીને શબ્દ બાણ માર્યા હતા. નીલેશે તો રીતસર કોંગ્રેસી કાર્યકરોને એનસીપી વિરોધી સૂત્ર આપતાં કહ્યું ‘પ્રથમ બારામતી જાળવો, પછી કોંકણ તરફ જુઓ.’