શહેરમાં મેટ્રો રેલવે સક્રિય થવા સાથે અવાજ અને કંપન (નોઈઝ એન્ડ વાઈબ્રેશન્સ)નું પ્રમાણ ઘટાડવા માટે પાટા અને કોંક્રિટના સ્લેબની વચ્ચે ઈલેસ્ટોમેરિક પેડસ ગોઠવવામાં આવશે.
મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ) હસ્તકના મહત્વાકાંક્ષી મેટ્રો રેલવે પ્રકલ્પને મુંબઈનું સૌથી વધુ સક્ષમ સાર્વજનિક જલદ ગતિ વાહનવ્યવહાર તંત્ર (માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ- એમઆરટીએસ) બનાવવા સાથે પર્યાવરણના રક્ષણનો ખ્યાલ રખાશે. અવાજ પ્રદૂષણની ફેલાય અને આસપાસના ક્ષત્રમાં ધ્રુજારી ન અનુભવાય એ માટે અધ્યતન ટેક્નોલોજીના ઈલેસ્ટોમેરિક પેડસ ગોઠવવામાં આવશે. વૈશ્વિક સ્તરે આ ટેક્નોલોજી વપરાય છે.
મેટ્રો રેલવેના બાંધકામમાં પર્યાવરણને અનુકુળ ટેક્નોલોજીના વપરાશને પ્રાધિકરણે પ્રાધાન્ય આપ્યું છે. એ મુજબ દોડતી ટ્રેનોના અવાજનું પ્રમાણ ઘટાડવા માટે ઉપરોક્ત પેડસના ઉપયોગનો નિર્ણય લેવાયો હોવાનું પ્રાધિકરણના સહનિયામક (જોઈન્ટ ડાયરેક્ટર-મેટ્રો પ્રોજેક્ટ) દિલીપ કવઠકરે જણાવ્યું હતું. મુંબઈના આ મેટ્રો રેલવે પ્રોજેક્ટ દ્વારા અનેક પડકારો ઉપસ્થિત થયા છે.
‘‘મુંબઈની વસતિનું સરેરાશ પ્રમાણ ચોરસ કિ.મી. દીઠ ત્રીસ હજારનું છે. તેમાં એકંદરે ૧૪૫ કિ.મી. લાંબા મેટ્રો રેલવેના રુટના પરિસરમાં અનેક શાળાઓ, કોલેજો અને હોસ્પિટલો છે. તે ઉપરાંત ભવિષ્યમાં આવી અનેક નવી સંસ્થાઓ, ઈમારતો ઊભી થશે. તેથી આસપાસના વિસ્તારોના નાગરિકોને ઘોંઘાટનો ત્રાસ ન થાય એ માટે આ પ્રકારની ટેક્નોલોજી વપરાઈ રહી છે,’’ એમ પણ દિલીપ કવઠકરે જણાવ્યું હતું.