ઓથોરિટીના લાઈવ્લીહૂડ સેલ દ્વારા પુનર્વસન ઉપરાંત પ્રકલ્પગ્રસ્તોને રોજગારની તક ઉપલબ્ધ કરાવી હતી
મુંબઈ મેટ્રોપોલિટન રજિન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)દ્વારા તેના લાઈવ્લીહૂડ સેલ (ઉપજીવિકા વિભાગ) મારફતે ૪૦,૦૦૦ કુટુંબોનું વિક્રમી પુનર્વસન કરીને એક મહત્વનો તબક્કો પાર કર્યો છે તેમ જ ઓથોરિટીએ તેમને રોજગારની તક પણ ઉપલબ્ધ કરી આપી છે. મુંબઈ શહેરમાં કુલ ૩૬ કોલોનીઓમાં આ પુનર્વસન કરાયેલા નાગરિક રહે છે.
ઓથોરિટીના મેટ્રોપોલિટન કમિશનર રત્નાકર ગાયકવાડે કહ્યું હતું કે, ‘પ્રકલ્પગ્રસ્તોનું આ પુનર્વસનનું કામ ભારે જટિલ હતું અને તેનો વ્યાપ પણ મોટો હતો. આમાં કુલ ૪૦,૦૦૦ કુટુંબોનો વિચાર કરવામાં આવ્યો હતો.
ભારતીય જીવન પદ્ધતિ પ્રમાણે એક કુટુંબમાં સરેરાશ પાંચ જણ હોય તો એ આધારે લગભગ બે લાખ લોકોનું પુનર્વસન કરવામાં આવ્યું છે, એ કહી શકાય. ઓથોરિટીએ કરેલા સતત પ્રયાસો અને પ્રકલ્પગ્રસ્તો તરફથી અમને મળેલો સહકાર એમ બે બાબતોને કારણે આટલા મોટા પાયે આટલા બધા લોકોનું પુનર્વસનનું કાર્ય શક્ય થયું હતું.
આ પ્રક્રિયામાં ઘરની માત્ર ચાર દીવાલો ઊભી કરવા કરતાં ઘર પણ હોય તેવું ઘર અમારે બાંધવું હતું. તેથી જ પાયાની સુવિધા માટેનો પ્રકલ્પ પૂર્ણ કરવા કરતાં આ પ્રકલ્પગ્રસ્તોનું સફળ પુનર્વસન અમારી સફળતામાં મહત્વનો તબક્કો બની ગયું છે.’
રત્નાકર ગાયકવાડે વધુમાં જણાવ્યું હતું કે, ‘ઓથોરિટીનો લાઈવ્લીહૂડ સેલ પુનર્વસન પૂરતો મર્યાદિત ન રહેતાં વિભાગે ગરીબીની રેખા હેઠળના પ્રકલ્પગ્રસ્તોને રોજગારની તક પણ ઉપલબ્ધ કરી આપી હતી. આ કુટુંબોની મહિલાને વિભાગે રોજગાર તેમ જ સ્વયં રોજગાર શોધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
ઓથોરિટીના પ્રવકતા દિલીપ કવઠકરે કહ્યું હતું કે, ‘સમાજસેવાની શરૂઆત ઘરમાંથી થાય છે, એવા કથન અનુસાર અમે ઓથોરિટીની કેન્ટીનમાં પ્રકલ્પગ્રસ્ત મહિલાઓને કામ આપ્યું છે. આ મહિલાઓ દ્વારા ચલાવાતી કેન્ટીનમાં રોજ ૮૦૦ કરતાં વધારે લોકોની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે.’