ચારકોપથી બાંદરા વચ્ચે દોડનારી મેટ્રો રેલવે અમિતાભના જુહુ બંગલોના ઉપરથી જવાની છે એ વાતની જાણ થતાં જ અમિતાભ નારાજ થયા છે. તેમણે આ નારાજી બાય બાય પ્રાઈવસી, વેલકમ મેટ્રો રેલ એવા શબ્દોમાં ઠાલવી છે. અગાઉ પેડર રોડ ફ્લાયઓવરને લઈને સ્વરકોકિલા લતા મંગેશકર નારાજ થયાં હતાં અને મુંબઈ છોડીને પુણેમાં વસવાટ કરવાની ચીમકી આપી હતી.
આ રેલવે અમિતાભના જુહુ સ્થિત પ્રતિક્ષા બંગલોની ઉપરથી જવાની હોઈ અધિકારીઓએ બંગલોની આસપાસની જગ્યાનો પણ અભ્યાસ કર્યો હતો. અમિતાભને આ વાતની જાણ થતાં જ તેમણે બ્લોગ પર નારાજી ઠાલવી છે.
અમિતાભ શું કહે?
અમિતાભે બ્લોગ પર કહ્યું છે કે મહાનગરમાં મેટ્રો રેલવે લાવવામાં આવી રહી છે. અમુક ભૂગર્ભમાંથી જવાની છે તો અમુક જમીનથી ઉપરી દોડવાની છે, જે માટે મોટા મોટા સિમેન્ટનાં માળખાં ઊભાં કરવામાં આવી રહ્યાં છે. આને કારણે ઘણા ખરાને આનંદ છે કે ભરચક ટ્રેનોથી પ્રવાસીઓનો છુટકારો થશે. ત્રણ પૈડાંનાં વાહન અથવા કાળી- પીળી ટેક્સીની અનિશ્ચિતતાથી પણ છુટકારો મળશે. જોકે સમસ્યા અહીં જ છે. આથી, બાય બાય પ્રાઈવસી, હેલ્લો ફેલો પ્રવાસીઓ.
અમિતાભની નારાજીને લઈને વિવાદ
અમિતાભની નારાજીને લઈને વિવાદ ઊભો થયો છે. જોકે શિવસેના આ મુદ્દે અમિતાભની પડખે હોય તેમ જણાય છે. શિવસેનાના સંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે મેટ્રો પ્રતિક્ષાની ઉપર જવાની હોવાથી બિગ બીએ ચિંતા વ્યક્ત કરી હોઈ શકે, કારણ કે દેખીતી રીતે જ તેનાથી તેમની પ્રાઈવસી હણાઈ જશે. જોકે તેમણે નારાજી વ્યક્ત કરી તેનાથી વિરોધ કર્યો છે એવું કહી શકાય નહીં.
લતાને ફલાય ઓવર સામે વિરોધ હતો
સ્વરકોકિલા લતા મંગેશકર રહે છે તે મકાનની બહારથી ફ્લાયઓવર જવાનો હોવાથી થોડા સમય પૂર્વે તેમણે તીવ્ર વિરોધ કર્યો હતો. ફ્લાયઓવરને કારણે ધ્વનિ પ્રદૂષણ થશે અને પ્રાઈવસી હણાઈ જશે એવું તેમનું કહેવું હતું.
જો સત્તાવાળા ફરિયાદ નહીં સાંભળે તો પોતે પુણેમાં વસવાટ કરવા નીકળી જશે એવી ચીમકી પણ તેમણે આપી હતી. આ પછી સરકારે વિશેષ બેઠક બોલાવીને વચલો માર્ગ કાઢતાં આ ફ્લાયઓવર જ્યાંથી પસાર થવાનો છે તે ઘરોની આસપાસ R ૧૩ કરોડને ખર્ચે ધ્વનિ પ્રદૂષણ ટાળતા વિશેષ કાચ લગાવવાની ખાતરી આપી છે. આ ફ્લાયઓવરનું કામ હવે ૨૦૧૧ના પ્રથમ ત્રિમાસિકમાં શરૂ થવાની શક્યતા છે.