રસોઇયાની અછત, જોઈન્ટ્સની ચેઈન, સીસીડી કેફેની લોકપ્રિયતા વગેરે બાબતોએ પણ શેટ્ટી સમાજના વ્યવસાયને અસર કરી છે
રોજગાર માટે ઉડિપીથી મુંબઈની વાટ પકડનારા અને ઇડલી-મેંદુવડાં સાંબારના જોઇન્ટ્સ પર ઇજારશાહી ધરાવતા શહેરના અસંખ્ય ઉડિપીવાસીઓએ ફરી પોતાના ગામનો રસ્તો પકડ્યોછે. તેને પગલે ગયા આખા વર્ષ દરમિયાન શહેરની ૫૨૫થી વધારે ઉડિપી હોટેલોને તાળાં લાગી ગયાં હતાં. શાકભાજીથી માંડીને ફળો સુધી, દૂધથી માંડીને સાકર સુધી અને વીજળીથી માંડીને હોટેલમાં કામ કરતા કર્મચારીઓના પગાર સુધીની દરેક ચીજોને મોંઘવારીનો ‘જોરદાર ફટકો જોરથી’ પડ્યો હોઈને શહેરમાંની અનેક જુની હોટેલોએ શટર પાડી દીધાં છે.
ભારતીય હોટેલો અને રેસ્ટોરાંના એસોસિયેશન ‘આહાર’ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી તપાસમાં આ જાણકારી મળી હતી. એ પછી શેટ્ટી સમાજની શાન-પરિષ્ઠા સમજવામાં આવતો આ વ્યવસાય પોતાના સમાજના હાથમાં જ રહે એ દ્રષ્ટિથી કોઈ પ્રયાસો કરી શકાય કે કેમ એનું વિચારમંથન આ સમાજમાં શરૂ થયું છે.
એકલા ફોર્ટ વિસ્તારમાં પચાસથી વધુ અને અને સાંતાક્રુઝ, વિલે પાર્લે અને અંધેરી વગેરે ઠેકાણે ૨૦થી ૨૨ હોટેલોને હવે તાળાં લાગ્યાં છે. રિડેવેલપમેન્ટના પ્રોજેક્ટોને કારણે પણ કેટલીક હોટેલોની જગ્યા મુશ્કેલીમાં આવી ગઈ છે પણ મોટે ભાગે મોંઘવારીને કારણે ધંધો ભાંગી પડ્યો હોઈને હોટેલો બંધ કરીને અન્ય ધંધા તરફ વળનારાઓનું પ્રમાણ વધ્યું છે. એક તરફ સરકારે લાદેલા વિવિધ પ્રકારના વેરાનો બોજ સહન કરીને ધંધો કરનારાઓ દ્વારા અપાતા સ્વાદિષ્ટ આહારને મોંઘવારીનો એરૂ આભડી જવાનું જ મુખ્ય કારણ છે, એમ આહાર એસોસિયેશનના પ્રમુખ નારાયણ આલ્વાએ કહ્યું હતું.
આ અગાઉ હોટેલનો ધંધો એટલે જેની પર ‘લક્ષ્મીજી’નો વરદહસ્ત હોય એવો મનાતો ધંધો હતો. મૂડીરોકાણ અને જગ્યાના આધારે ઓફિસો અને ગિરદીનાં સ્થળો પરથી ‘રોકડા’નો ધંધો કરી લઈને આ વ્યવસાયને વધારવામાં આવતો હતો. ફકત છેલ્લાં કેટલાંક વર્ષોમાં ‘જોઈન્ટ્સ’ની જુદી જુદી શ્રેણી, સીસીડી કેફે વગેરેની એકત્રિત અસર પણ આ વ્યવસાય ઉપર થઈ છે.
કુશળ ખાનસામાની અછત, નવા આવનારા ખાદ્યપદાર્થ બનાવવા માટે લેવું પડતું પ્રશિક્ષણ વગેરે બાબતોની પણ અસર ધંધાની પડતી પર થાય છે. કેટરિંગ કોલેજમાં શાસ્ત્રોકત પદ્ધતિએ શિક્ષણ લીધા બાદ હોટેલનો ‘ગલ્લો’ સંભાળતા બેસવાને બદલે વિદેશમાં જઈને વધારે નાણાં રળી લેવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. તેને પગલે જે ધંધાદારીની એકથી વધારે હોટેલ હતી. તેમણે એ વેચી નાખવાનું અથવા ભાડાં ઉપર આપવાનું વધારે સગવડભર્યો વિકલ્પ સ્વીકારવાનું ઠરાવ્યું છે એમ લાગે છે.