- મુંબઇ ૧૩/૭ ટ્રિપલ બ્લાસ્ટનું કોકડું ઉકેલ્યાનો દાવો
- યાસીન ભટકલ અને પ્લાન્ટરો સહિત ત્રણ હજુ ફરાર
- ૧૮ રાજ્યોમાં મુંબઈ એટીએસની તપાસ
- ૧૨૩૭૩ સાક્ષીઓની પૂછપરછ
- ૧૮૦થી વધુ સીસીટીવી ફૂટેજ જોવાયા
૧૩ જુલાઈ, ૨૦૧૧ના રોજ વેપાર તથા રાહદારીઓથી ભરચક ઓપેરા હાઉસ, ઝવેરી બજાર અને દાદર વિસ્તારમાં ઉપરાછાપરી બોમ્બધડાકા કરવાના કેસમાં છ મહિના બાદ એન્ટી ટેરરસ્ટિ સ્કવોડે (એટીએસ) ત્રણ જણની ધરપકડ કરી છે, જ્યારે આ ધડાકાનો સૂત્રધાર યાસીન ભટકલ તથા પ્લાન્ટર મળી ત્રણ જણ હજુ પણ એટીએસની પહોંચથી દૂર છે. આ ષડ્યંત્ર પાર પાડવામાં R ૧૦ લાખનો ખર્ચ કરાયો હતો.
એટીએસના વડા રાકેશ મારિયાએ સોમવારે ઉતાવળે બોલાવીને પરિષદમાં આ જાહેરાત કરી હતી. ૧૮ રાજ્યમાં તપાસ કરીને આરોપી નકી અહમદ વાસી અહમદ શેખ (૨૨), નદીમ અખ્તર અશફાક શેખ (૨૩)ની ૧૨ જાન્યુઆરીના રોજ બિહારના દરભંગાથી ધરપકડ કરવામાં આવી છે. ઈન્ડિયન મુજાહિદ્દીનનો ટોચનો આતંકવાદી યાસીન ભટકલ અને બોમ્બ મૂકનાર હજુ ફરાર છે.
નકી સપ્ટેમ્બર ૨૦૧૦માં મુંબઈમાં આવ્યો હતો. દરભંગાનો જ તેનો સાગરીત નદીમ એન્ટોપ હિલમાં રહેતો હતો, જ્યારે નકી ભાયખલાના હબીબ એપાર્ટમેન્ટમાં ભાડાની જગ્યામાં રહેતો હતો. નકી અને અહમદ ઝરાર સિિદ્દબાપ્પા ઉર્ફે યાસીન ભટકલ ૨૦૦૮માં સંપર્કમાં આવ્યા હતા.
માત્ર ૧૦ લાખમાં જ ષડયંત્ર રચી લોકોના જીવ લીધા : ભટકલે નદીમને દિલ્હીમાં બોલાવી લીધો હતો અને એક કપડાનું પેકેટ આપ્યું હતું, જેમાં વિસ્ફોટકો અને ડિટોનેટરો હતાં, જે તેણે નકીને સુપરત કરવાનાં હતાં. નકીને ભટકલે આ કામ કરવા માટે R ૧.૫ લાખ આપ્યા હતા, જ્યારે આખું કાવતરું ઘડીને અંજામ આપવા માટે આ ટોળકીને R ૧૦ લાખ આપવામાં આવ્યા હતા. જે હવાલા મારફત આરોપીઓને મળ્યા હતા.
નકી અને નદીમે ચાર ટુવ્હીલરની ચોરી કરી હતી -
નકી અને નદીમે બે એક્ટિવા સ્કૂટર અને બે યુનિકોર્ન મોટરસાઈકલની ચોરી કરી હતી. આમાંથી બે એક્ટિવાનો ઓપેરા હાઉસ અને ઝવેરી બજારમાં બોમ્બ પ્લાન્ટ કરવા માટે ઉપયોગ કરાયો હતો, જ્યારે બે બાઈક ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે બિહારમાં દરભંગા ખાતે લઈ જઈને મૂકી દેવાઈ હતી, જે બિહારથી જપ્ત કરાઈ છે.
ભટકલે દરભંગા મોડ્યુલ શરૂ કર્યું હતું, ધડાકાના દિવસે જ મુંબઈ બહાર નીકળી ગયો -
યાસીન ભટકે દરભંગા મોડ્યુલ શરૂ કર્યું હતું. દરભંગામાં તે યુવાનોને ભરમાવીને તેમને આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટે ઉશ્કેરવાનું કામ કરતો હતો. વળી, ધડાકાના દિવસે જ તે મુંબઈ બહાર નીકળી ગયો હતો. આ સંબંધના પુરાવા પણ મળ્યા છે. આ કેસમાં મુંબ્રાના રહેવાસી હારૂણ રાશીદ નાઈકની અગાઉ નકલી નોટના કેસમાં ધરપકડ કરાઈ હતી. તેની પણ આમાં સંડોવણી જણાતાં તેનો ટ્રાન્સફર વોરન્ટ થકી કબજો લેવા માટે કોર્ટમાં અરજી કરાઈ છે.
નકી સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૧૦માં મુંબઈ આવ્યો -
નકી સપ્ટેમ્બર- ઓક્ટોબર ૨૦૧૦માં મુંબઈ આવ્યો હતો. ભાયખલાના મદનપુરા સ્થિત હબીબ એપાર્ટમેન્ટમાં ભાડાનું ઘર લીધું હતું. ત્રણ ઘર તપાસ્યા બાદ ભટકલે જ આ ઘર પસંદ કરી આપ્યું હતું. આ પછી નકીએ કુંભારવાડા સ્થિત જિમનું સભ્યપદ લીધું હતું અને નદીમને પણ જોડી દીધો હતો. જિમમાં તેઓ રાત્રે ૭-૮ વચ્ચે જ જતા હતા.
દરભંગા-પુણે-મુંબઈમાં સિમ કાર્ડ રેકેટનો ફાયદો ઉઠાવ્યો -
- દરભંગા- પુણે- મુંબઈમાં સિમ કાર્ડનું મોટું કૌભાંડ ચાલે છે. આનો લાભ લઈને નકીએ સિમ કાર્ડ્સ પ્રાપ્ત કર્યા હતાં, જે તેણે અન્ય સાગરીતોને પૂરાં પાડ્યાં હતાં. ખોટા દસ્તાવેજો પર સિમ કાર્ડ આપનારા એક શકમંદને પણ અમે તાબામાં લીધો છે.
૪૦ અધિકારી અને ૧૪૦ સ્ટાફે અહોરાત્ર મહેનત લીધી -
- આ કેસમાં ૪૦ અધિકારી અને ૧૪૦ સ્ટાફે અહોરાત્ર મહેનત લીધી હતી. વિવિધ અન્ય એજન્સીઓએ પણ સાથ આપ્યો હતો. જોકે અલગ અલગ એજન્સીઓ અને એટીએસ વચ્ચે મતભેદ હોવાના આરોપ રાકેશ મારિયાએ સ્પષ્ટપણે નકારી કાઢયા હતા. હજુ આ કેસમાં પ્લાન્ટરોને પકડવાના બાકી છે. આ પૂર્વે મિડિયામાં અહેવાલો લીક થયા અને ખોટી માહિતી પ્રસારિત થવા લાગી તે જોઈને આજે આ અંગે પત્રકાર પરિષદ યોજવાની ફરજ પડી હતી. પ્લાન્ટરોનું પગેરું પણ મળ્યું છે. જોકે તપાસમાં અવરોધ આવી શકે એમ હોવાથી આ ઉપરાંત વધુ માહિતી આપી શકાય એમ નથી, એમ તેમણે જણાવ્યું હતું. નોંધનીય છે કે ૧૩ જુલાઈ, ૨૦૧૧ના રોજ સાંજે લોકો કામધંધેથી ઘરે જવાની તૈયારીમાં હોય અને લોકોની ભારે અવરજવર હોય તેવા ત્રણ વિસ્તારમાં યોજનાબદ્ધ રીતે આતંકવાદીઓએ બોમ્બવિસ્ફોટ કર્યા હતા, જેમાં ૨૭ જણનાં મોત થયાં હતાં, જ્યારે ૧૨૭ ઘાયલ થયા હતા.
૧૮ રાજ્ય અને ૧૨,૩૭૩ સાક્ષીની તપાસ -
આ કેસમાં ૧૮ રાજ્યની મુલાકાત લેવાઈ હતી, જ્યાં અમુક રાજ્યમાં એકથી વધુ વાર મુલાકાત લેવાની જરૂર પડી હતી. આ તમામ રાજ્યો અને ત્યાંના અધિકારીઓએ પણ તપાસમાં સહકાર આપ્યો હતો. એકંદર ૧૨,૩૭૩ સાક્ષીદારોની તપાસ કરાઈ હતી. બોમ્બધડાકાનાં સ્થળો ખાતેથી મેળવેલા ૧૮૦ સીસીટીવી કેમેરાનું ૬૯૬ કલાકનું ફૂટેજ ૨૯ દિવસ સુધી તપાસ કર્યા બાદ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પ્રથમ પગેરું મળ્યું હતું.
દિલ્હીથી વિસ્ફોટક લવાયા હતા -
- એટીએસના વડા મારીયાએ કહ્યું કે આ વિસ્ફોટનો માસ્ટર માઇન્ડ યાસિન ભટકલ હતો અને તેણે તેના બે સાથીઓ સાથે મળીને આ ષડયંત્ર પાર પાડ્યું હતું.
- તેણે નકીને વિસ્ફોટ માટે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. વિસ્ફોટમાં વપરાયેલું સ્કૂટર નકી અને નદીમે ચોર્યું હતું.
- નકને ત્રાસવાદીઓ દ્વારા રજુ કરાયેલા નકલી દસ્તાવેજો મારફતે સીમકાર્ડ અપાયું હતું.
- નદીમ દિલ્હીથી વિસ્ફોટક સામગ્રી લાવ્યો હતો. બે ફરાર ત્રાસવાદીઓએ તેમાંથી બોમ્બ બનાવ્યા હોવાનું એટીએસના વડા મારિયાએ કહ્યું હતું.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.