૨૬/૧૧ના આતંકવાદી હુમલાના એકમાત્ર જીવંત આરોપી એવા પાકિસ્તાની ત્રાસવાદી અજમલ કસાબને ફરમાવાયેલી મોતની સજાને મંજુરી અંગે વડી અદાલતમાં દલીલો શરૂ થઈ ત્યારે કસાબે પોતે દુ:ખ, શોક કે ખેદની લાગણી વિના બેફિકરાઈથી સ્મિત કરતો, બગાસાં ખાતો અને માથુ ખંજવાળતો ઊભો હતો.
સરકારી વકીલ ઉજજવલ નિકમે પાકિસ્તાનથી આવેલા કસાબ તથા અન્ય નવ જણે મુંબઈમાં આચરેલા ત્રાસવાદી કૃત્યોની ક્રૂરતાનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે, ‘‘૨૬/૧૧નો હુમલો ચોક્કસ રાષ્ટ્રની સરકાર દ્વારા પ્રાયોજિત આતંકવાદ હતો. તેનો અમલ ‘લશ્કર એ તોઈબા’એ સંબંધિત દેશના સુરક્ષાતંત્રની મદદથી કર્યો હતો.’’
વડી અદાલતમાં કોર્ટરૂમ નં. ૪૯માં ન્યાયમૂર્તિઓ રંજના દેસાઈ અને આર.પી.મોરે સમક્ષ વિડિયો કોન્ફરિન્સંગની વ્યવસ્થા સાથે કેસની દલીલો કરાઈ હતી, જેથી અદાલતમાં ચાલતી દલીલો સેન્ટ્રલ જેલમાં પોતાના બોમ્બ- બુલેટપ્રૂફ ઓરડામાં કસાબ સાંભળી- જોઈ શકે. સવારે બરાબર ૧૧ વાગ્યે અદાલતમાંના વિડિયો કોન્ફરિન્સંગ સ્ક્રીન પર કસાબ ઉપસ્થિત થયો હતો. એ વખતે તેને અદાલતની કાર્યવાહીમાં બહુ રસ ન હોય એમ જણાતું હતું. મોટા ભાગનો વખત એ હસતો અથવા બગાસાં ખાતો અને ક્યારેક માથું ખંજવાળતો જોવા મળ્યો હતો. અવારનવાર આળસ મરડવા હાથ ફેલાવતો હતો અને ક્યારેક તેના જેલ ગણવેશના બટનની સાથે રમતો હતો.
સુનાવણીના પૂવૉર્ધમાં કસાબે વોશરૂમમાં જવાની પરવાનગી માગી હતી. કસાબે જેલ સ્ટાફને આ બાબતે ઈશારો કર્યો હતો અને એ કર્મચારીએ કોર્ટને જણાવ્યું હતું. ત્યાર પછી અદાલતે તેને પરવાનગી આપી હતી. મોતની સજાને મંજુરી અંગેની દલીલોની વિધિ વિડિયો કોન્ફરન્સ દ્વારા હાથ ધરાતી હોય એવું મુંબઈ વડી અદાલતમાં બની રહ્યું છે.
આ સુનાવણી દરમિયાન વડી અદાલતનાં ચારેય પ્રવેશદ્વારો પર સશસ્ત્ર પોલીસ જવાનોનો ચોકીપહેરો ગોઠવવા સાથે અભેધ્ય સલામતી કવચ જેવી વ્યવસ્થા ગોઠવાઈ હતી. કસાબ કેસની સુનાવણી માટે કોર્ટ નં-૪૯માં આવનારા વકીલો, જાહેર માધ્યમોના પ્રતિનિધિઓ અને કોર્ટ સ્ટાફને પ્રવેશ માટે વિશિષ્ટ પાસ અપાયા હતા. કેસની નજાકત અને સુરક્ષાને મુદ્દે કસાબને અદાલતમાં રૂબરૂ હાજર કરવાનું ટાળીને વિડિયો કોન્ફરિન્સંગ દ્વારા વિધિ પાર પડાઈ હતી. ટાડા કોર્ટે ૬ મેએ અજમલ કસાબને મૃત્યુદંડ ફરમાવ્યો હતો. કાનૂની ઔપચારિકતા મુજબ મોતની સજાને વડી અદાલતની મંજુરી આવશ્યક હોવાથી એ બાબતની કાર્યવાહી હાલમાં હાથ ધરાઈ છે.