ભગવાન શ્રી કૃષ્ણની સેવાનો આ મંત્ર ગૂંજતો થાય એટલે તરત સમજી જવાનું કે ઈસ્કોનનું મંદિર આસપાસ છે અથવા ઈસ્કોનના ભક્તો આસપાસમાં ઘૂમી રહ્યા છે કે ફેરી કરી રહ્યા છે.
પ. પૂ. શ્રી પ્રભુપાદ સ્વામી પ્રેરિત ઈસ્કોન ‘હરે કૃષ્ણ મંદિર’થી ભાગ્યે જ કોઈ કૃષ્ણભાઈ અજાણ છે. પાંચ હજાર વર્ષ પૂર્વે જન્મેલા શ્રી કૃષ્ણ અને તે નાતે હિન્દુ ધર્મને સમગ્ર દુનિયામાં ચર્ચિત કર્યો હોય, નવો ઓપ આપ્યો હોય તો એ ‘ઈસ્કોન’ ચળવળે આપ્યો છે. પ. પૂ. પ્રભુપાદ સ્વામી પ્રેરિત આ ચળવળ શ્રી કૃષ્ણને એશિયા ઉપરાંત અમેરિકા, યુરોપ, આફ્રિકા તેમ જ ઓસ્ટ્રેલિયા ખંડમાં લઈ ગઈ અને આજે આ સંસ્થા એવી ફૂલીફાલી છે કે હિન્દુ ધર્મનું નામ છે એટલે ‘ઈસ્કોન’ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસની યાદ કરવી પડે.
શ્રી કૃષ્ણ માટેની અંત:કરણની ભાવના ભક્તિ અને ભજનને લીધે ‘મહાપ્રભુ ચૈતન્યજી’ના વિચારોમાં આસ્થા ધરાવતો આ પંથ હિન્દુ સિવાયના પંથોમાં પણ લોકપ્રિય બન્યો છે અને અત્યારે સૌથી વધુ વિદેશી બિન હિન્દુ ભક્તો ધરાવતો આ પંથ છે. અગાઉ બધા હિન્દુ ધર્મમાંથી અન્ય ધર્મ ભણી જતા હતા. શ્રી કૃષ્ણનો આ પંથ અન્ય સંપ્રદાયીઓને ‘શ્રી કૃષ્ણ’ ભક્તિમાં તલ્લીન કરી રહ્યો છે. આવી સંસ્થાઓ કૃષ્ણે જન્મ મહોત્સવ પણ એટલો જ મનમોહક હોય. શ્રી કૃષ્ણ એટલે જ ‘ભક્તચુંબક’ અને તેમાં ‘જન્માષ્ટમી’ની ઉજવણી એટલે બાકી કશું રહે નહીં.
મુંબઈમાં ‘હરે કૃષ્ણ’નું મુખ્ય મંદિર જુહુ ખાતે સ્થિત છે. આ મંદિરમાં ‘જન્માષ્ટમી’ ઉજવણીમાં કલ્પી ન શકાય તેટલો ૧૪ લાખથી વધુ માનવ મહેરામણ ઊમટે છે. આટલું માનવ મહેરામણ મુંબઈમાં અન્યત્ર ઊમટતું હોવાનું ખ્યાલમાં નથી.
આ માટે પ્રસાદથી માંડીને દર્શન સુધીની ખાસ વ્યવસ્થા કરવી પડતી હોય છે. તે એક રાતમાં થઈ શકતી નથી. આમાં પણ મુંબઈને ઉત્સવ કે ઉજવણી દુનિયામાં સૌથી મોટી ગણાય છે. દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અન્ય કોઈ મંદિરમાં ઊમટતા નથી. શ્રી રાધા રાસબિહારી મંદિરનો આથી સમગ્ર જગતમાં ડંડો વાગે છે.