બોરીવલીના જૈન મંદિરમાં સંત્રીની હત્યા કરીને લૂંટ ચલાવવાના પ્રકરણમાં પોલીસે આખરે આઠ લૂંટારાઓની ધરપકડ કરી છે, જ્યારે ચોરી કરેલી તમામ મૂર્તિઓ હસ્તગત કરાઈ છે. ૨૨ ઓગસ્ટે બનેલી આ ઘટનામાં એક સંત્રીની હત્યા કરવામાં આવી હતી, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હોવાને પગલે સમગ્ર જૈન સમાજમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા.
બોરીવલી પશ્ચિમના મંડપેશ્વર રોડ પર ભગવતી હોસ્પિટલની બાજુમાં આવેલા નંદશ્વિર દ્વીપ દગિંબર જૈન મંદિરમાં રવિવારે પરોઢિયે આશરે ૨.૩૦ કલાકના સુમારે લૂંટારુઓની એક ટોળકીએ ત્રાટકીને પંચધાતુની બનેલી આંગી કરેલી છ મૂર્તિની લૂંટ ચલાવી હતી. જોકે એક મૂર્તિનું વજન એટલું બધું હતું કે તેને લૂંટારાઓ ઉપાડી શક્યા નહોતા અને દેરાસરની નજીકમાં જ છોડીને ચાલ્યા ગયા હતા.
આ કેસમાં ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે લૂંટની યોજના ઘડનાર મુખ્ય હારુણ અબ્દુલ શેખ (૪૦) અને રમેશ મોહન પાટીલ ઉર્ફે ભાઈજાન હતા. આ બંનેની મુલાકાત બે વર્ષ પહેલાં જેલમાં થઈ હતી અને ૨૦૦૫માં દેરાસરની ઉજવણી વેળા હેલિકોપ્ટરમાંથી ચાંદીના સિક્કા અને પૈસાની ઉછામણી થઈ હતી. આ ર્દશ્ય જોઈને નિયતમાં ખોટ આવી હતી અને બંનેએ જેલમાં બેઠાં બેઠાં દેરાસરમાં લૂંટ કરવાની યોજના બનાવી હતી.
જેલમાંથી છુટયા બાદ આખા વિસ્તારની રેકી કરી હતી. આઠ આરોપીમાંથી મોટા ભાગના નજીકની ઈન્દિરાનગર ઝંપડપટ્ટીના જ રહેવાસી છે. આથી ઘણી ખરી માહિતી તેમને હતી અને એક ભૂતપૂર્વ વોટમેને પણ તેમને મંદિરમાં કીમતી ચીજો કઈ છે તેના સહિતની માહિતી આપી હતી.
આને આધારે ૨૨ ઓગસ્ટના રોજ લૂંટારાઓએ પોતાનો મનસૂબો પાર પાડ્યો હતો, પરંતુ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ તેમની ધરપકડ કરી લૂંટાયેલી પાંચેય મૂર્તિઓ તેમ જ અન્ય ચાંદીના સિક્કા, છત્ર અને કીમતી માલમતાને જપ્ત કરીને કેસ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.
આરોપીમાંથી રાજગુરુ મુરારીસિંગ ઉર્ફે રાજુ પંજાબી મૂર્તિને વેચવા ગયો ત્યારે ટીપ મળતાં પોલીસે ગોરેગાંવ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ હારુણ, ભાઈજાન અને સંતોષ હરશ્ચંદ્ર ભોઈરની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમના અન્ય સાથી સુરેશ રાજેન્દ્રર ગુપ્તા, વિનોદકુમાર જગદીશપ્રસાદ યાદવ, માઈકલ થાપા ઉર્ફે વિકી અને મકેશકુમાર જગદીશપ્રસાદ યાદવની થાણે શહેરના ઘણસોલી વિસ્તારમાંથી ધરપકડ કરીને સંતાડી રાખેલી મૂર્તિઓ અને અન્ય કીમતી માલમતા જપ્ત કરી હતી.
નોંધનીય છે કે દેરાસરમાં ચોકી કરતા બે સુરક્ષા રક્ષકમાંથી એક દેવીલાલ સેવક (૫૫)ને લૂંટારુઓએ હથિયારથી મારી નાખ્યો હતો, જ્યારે બીજો સુરક્ષા રક્ષક રામપ્રસાદ ગંગારામ જોષી (૪૫) ગંભીર ઇજા પામ્યો હતો. દેવીલાલ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી હતો જ્યારે રાજુ ગંગારામ નેપાળી હતો.
આ ઘટનાને લઈ સમગ્ર જૈન સમાજમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. પખવાડિયામાં લૂંટારા નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.