છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહારાષ્ટ્રના પુણે, રત્નાગિરિ અને કોંકણ સહિત અનેક શહેર અને જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. ઠેર ઠેર પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં અને સમગ્ર જનજીવન ખોરવાઈ ગયું હતું. અષાઢી એકાદશીને દિવસે મેઘરાજા મન મૂકીને વરસતાં લોકોમાં આનંદ છવાઈ ગયો હતો. જોકે ત્રણ જણનાં મોત પણ થયાં હોવાની માહિતી મળી હતી. દરમિયાન એક દિવસ આડ પાણીકાપ સુધીની નોબત આવી ગઈ છે એવા પુણે રિસાયેલા મેઘરાજા બુધવારે રીઝાયા હતા.
મંગળવારથી અવિરત પડી રહેલા વરસાદને કારણે રાજાપુરની અર્જુન અને કોદાવલી નદીનાં પાણી પણ બહાર આવવાને કારણે પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. લોકોનાં ઘરમાં પાણી પણ ભરાઈ ગયાં હતાં. રાજાપુરની બંને નદીઓનાં પાણી બહાર આવ્યાં હતાં. તેવી જ રીતે ચપિલુણની વિશષ્ઠી નદીનાં પાણી પણ બહાર આવવા લાગ્યાં હતાં. અહીં સતત પડી રહેલા વરસાદને કારણે ત્રણ જણનાં મોત નીપજ્યાં હતાં. રાજાપુરની એક મહિલાનું પાણીમાં વહી જવાને કારણે, સંગમેશ્વરમાં એક વૃદ્ધનું કૂવામાં ડૂબી જવાને કારણે તેમ જ આલબોલી (ગુહાગર) સ્થિત પાણીમાં ડૂબકી લગાવવા ગયેલા તરુણનું ડૂબી જવાને મોત થયાના બનાવ બન્યા હતા.
દરમિયાન પુણે તેમ જ પિંપરી અને ચિંચવડ વિસ્તારમાં પણ મેઘરાજાએ મહેર કરી હતી. આને કારણે લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
નોંધનીય છે કે પુણે પર મેઘરાજા રિસાયા હોવાથી ગુરુવારથી એક દિવસ આડ પાણી મળવાનું છે. તેમાં મેઘરાજા રીઝાતાં હવે સ્થિતિ સુધરશે એવી આશા સ્થાનિકોમાં બંધાઈ હતી.